ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના મણિનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો
મણિનગર બેઠક પરથી ચૂંટણી લડેલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પક્ષ સાથે છેડો ફાડ્યો
સોશયલ મીડિયામાં રાજીનામું પોસ્ટ કર્યુ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે તો કેટલાક પક્ષ સાથે છેડો ફાડી ચૂક્યા છે. હવે વધુ એક કોંગ્રેસી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કે જે મણિનગર બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, તેમણે પણ રાજીનામું આપી દીધું છે.
શ્વેતા ભ્રમભટ્ટ આગામી દિવસોમાં ભાજપ સાથે જોડાશે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ તેમણે PM મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રીની મુલાકાત કરી હતી. અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા તેમના ભાજપમાં જોડાવાની શક્યતા વધી ગઈ છે.
ફેસબુક પોસ્ટ દ્વારા કરી જાહેરાત
મણિનગર બેઠક પરથી ચૂંટણી લડેલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પક્ષ છોડવાની જાહેરાત સાથે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી.
વિચાર કોંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો
શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સામે પણ ઉઠાવ્યા સવાલો હતો. તેમણે કહ્યું હતું કે તેમનો વિચાર કોંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો. પણ તેવું થઈ શક્યું નહીં. અગાઉ PM મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રીની રાજભવન ખાતે મુલાકાત લેવા બદલ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાની વાત પણ બહાર આવી હતી. તેમણે કહ્યું હતું કે વિચાર કોંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો અને ધીમે ધીમે પાર્ટીની અંદરના સડા ને બહાર કાઢવાનો હતો. હું જે વિઝન સાથે જોડાઈ હતી તે દેશના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનો હતો. ચુંટણી લડવાનું નક્કી કરતા પહેલા મેં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી અને રાજનીતિને લઈને મારી જે પણ આશંકા હતી તે વ્યક્ત કરી હતી
મેં પ્રજામાં કોંગ્રેસ પક્ષની છબી બદલવાનું કામ કર્યું:
કોંગ્રેસની વાસ્તવિકતા વિશે જે કહેવાયુ તેવી કોઈ કામગીરી ન થઈ અને તેમનો કોંગ્રેસને પુનઃજીવિત કરવાનો વિચાર પણ સફળ ન રહ્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વ રાજ્ય કોંગ્રેસની અંદરના સડાને સમજવામાં નિષ્ફળ ગયું છે અને 360 ડિગ્રી ફેરફારો લાવવાની હિંમતનો નેતૃત્વમાં અભાવ જોવા મળી રહ્યો છે.
પક્ષની અંદરોઅંદર ખૂબ નાનું રાજકારણ
તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે જો મારો રાજીનામાં આપવાનો નિર્ણય સાચો છે કે કેમ તેની મને થોડીક પણ શંકા બાકી હતી, તો તે વડા પ્રધાન શ્રી મોદીજી સાથેની મારી મુલાકાત પછી પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનો (વરિષ્ઠ મહિલા આગેવાન સહિત)ની ટિપ્પણીઓ દ્વારા તે સ્પષ્ટ થઈ ગયું હતું કે હું યોગ્ય નિર્ણય લઈ રહી છું. અસંતોષ વ્યક્ત કરવો એ એક બાબત છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે તમે જે ભાષાની પસંદગી કરો છો, તે સામેવાળા કરતા એક વ્યક્તિ તરીકે તમારા વિશે ઘણુંબધું કહી જાય છે. આ એ જ લોકો છે જેમને જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે મારાથી સમસ્યાઓ હતી, આ એ જ લોકો છે જેઓ જ્યારે પણ મને પાર્ટીમાં કોઈ કામ સોંપવામાં આવે ત્યારે સતત તેમનું નાનું રાજકારણ રમતા હતા, અને હવે એ જ લોકો જે ખરેખર ખૂબ ખુશ છે કે હું છોડી રહી છું. પરંતુ હું તેમને દોષ નથી આપતી, હું લીડરશિપ ને પ્રશ્ન કરું છું જેમણે તેમને ફ્રી પાસ આપ્યા છે. આ ચાલુ રહ્યું, તો તમે ક્યારેય પણ સારા લોકોના પક્ષ સાથે જોડાવા અને કોઈપણ રીતે યોગદાન આપવાની અપેક્ષા ના રાખી શકો. તે સમજવાનો સમય પાકી ગયો છે.