શહેરના દાણીલીમડા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવ્યા બાદ દુપટ્ટાથી ટૂંપો દઇને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ છે. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ આ હીચકારું કૃત્ય આચર્યું હતું. પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિએ પોલીસ તેમજ સાસરી પક્ષને પણ ગેરમાર્ગે દોર્યાં હતાં.
જમાલપુર વિસ્તારમાં આવેલ લોહારની વાડીમાં રહેતાં સબાનાબાનુ સાિજદભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તેમના જમાઇ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે સબાનાબાનુની ર૦ વર્ષીય પુત્રી મિસ્બાનાં લગ્ન દાણીલીમડા વિસ્તારમાં આવેલ વાસુદેવ ધનજીની ચાલીમાં રહેતા શોએબ હારુનભાઇ છીપા સાથે થયાં હતાં. લગ્ન બાદ મિસ્બા પતિ શોએબ અને તેનાં માતા-પિતા સાથે સંયુક્ત કુંટુબમાં રહેતી હતી.
સબાનાબાનુની માતા મિજદબાનુ શોએબના ઘરે જતી હોવાથી મિસ્બા અને શોએબ એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતાં હતાં. મિસ્બાને શોએબ પસંદ હોવાથી બે વર્ષ પહેલાં તેણે પોતાના ઘરમાં લગ્ન કરવા માટેની વાત કરી હતી. મિસ્બાનાં માતા-પિતાએ શોએબના ઘરે જઇને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતાં મિસ્બા અને શોએબનાં લગ્ન થઇ ગયાં હતાં. શોએબનું ઘર નાનું હોવાથી તેણે અલગથી પોતાનું મકાન ભાડેથી લીધું હતું, જ્યાં બંને જણાં રહેતાં હતાં.
શોએબ કપડાંને કલર કરવાની કામગીરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્ન પછીના ચાર મહિના સુધી મિસ્બાને શોએબ સારી રીતે રાખતો હતો અને ત્યારબાદ કોઇ ને કોઇ કારણસર તેની સાથે ઝઘડો કરતો હતો. શોએબ મિસ્બા પર ખોટી શંકા રાખીને તેને ઘર બહાર કાઢી મૂકતો હતો અને તારાં મા-બાપે તને શું આપ્યું છે તેમ કહી મારપીટ કરતો હતો.
શોએબ અવારનવાર તેનાં સાસુ-સસરા પાસે ઘરખર્ચના રૂપિયા માગતો હતો અને મિસ્બા ઉપર અત્યાચાર ગુજારતો હતો. તા. ૯ જુલાઇના રોજ શોએબે કોઇ પણ કારણસર મિસ્બા સાથે માથાકૂટ કરીને મારામારી કરી હતી, જેથી તે પોતાનાં માતા-પિતાને ઘરે જતી હતી. મોડી રાતે શોએબ મિસ્બાને સમજાવીને પોતાના ઘરે લઇ ગયો હતો. તા. ૧૧ જુલાઇના રોજ મિસ્બાનાં માતા સબાનાબાનુ તેમના ઘરે હાજર હતાં ત્યારે તેમના પતિનો ફોન આવ્યો હતો કે મિસ્બાએ ગળાફાંસો ખાધો છે, તું જલદી મિસ્બાના ઘરે જા...સબાનાબાનુ તરત જ મિસ્બાના ઘરે પહોંચી ગયાં હતાં, જ્યાં પહેલાંથી તેમના સંબંધીઓ હાજર હતાં. મિસ્બાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનું તેના સાસરી પક્ષનાં કહી રહ્યાં હતાં, જોકે તેની હત્યા કરી હોવાનો સબાનાબાનુ તેમજ પરિવાર આરોપ કરી રહ્યાં હતાં.
પોલીસે મિસ્બાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. સબાનાબાનુએ કરેલા આક્ષેપ પ્રમાણે પોલીસે શોએબની અટકાયત કરીને કડક પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં શોએબ ભાંગી પડ્યો હતો અને તેને મીસ્બાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. વસાવાએ જણાવ્યું છે કે શોએબ અને મિસ્બા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં તેણે મિસ્બાને માર માર્યો હતો અને આવેશમાં આવીને ગળું દબાવ્યું હતું. મિસ્બાનો શ્વાસ રુંધાતો હતો ત્યારે શોએબે દુપટ્ટા વડે ગળે ટૂંપો દઇને તેને મોતને ઘાટ ઉતારી હતી.
હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે શોએબે િમસ્બાની લાશને ખાટલા પર સુવાડી દીધી હતી અને પોલીસને તેણે આત્મહત્યા કરી હોવાની જાણકારી આપી હતી. પોલીસને મિસ્બાની લાશને જોતાંની સાથે જ શોએબે હત્યા કરી હોવાનું પ્રાથિમક તપાસમાં લાગી રહ્યું હતું, જોકે પૂછપરછમાં શોએબે કબૂલાત કરી લેતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
છ મહિના પહેલાં શોએબે મિસ્બાનું ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી, જ્યારે બે મહિના પહેલાં ગરમ ચા તેની પીઠ પર નાખી હતી. આ બંને ઘટનામાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી, જોકે ત્યાર બાદ બન્ને વચ્ચે સમાધાન થઇ ગયું હતું.