કઠલાલના ચૌહાણપુરા ગામે રહેતી પરિણીતાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ઘરની સામેના ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર પતિનો મૃતદેહ પણ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જેને પગલે બન્નેની હત્યા કરાઇ છે કે પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો છે. તે બાબતે પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ છે.
નડિયાદ પાસેના કઠલાલના ચૌહાણપુરા ગામે રહેતી પરિણીતાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ઘરની સામેના ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર પતિનો મૃતદેહ પણ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જેને પગલે બન્નેની હત્યા કરાઇ છે કે પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યો છે. તે બાબતે પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મામલાની તપાસ હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના ચૌહાણપુરા ખાતે રહેતા સુરેશભાઇ સોમાભાઇ બારૈયાના લગ્ન એક વર્ષ અગાઉ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે જાદવપુરામાં રહેતા ટીનીબહેન દાનાભાઇ જાદવની દીકરી કાજલ સાથે થયાં હતાં. જોકે સુરેશભાઇ પત્ની કાજલ ઉપર વહેમ રાખીને તેને અપશબ્દો બોલી, તકરાર કરી, મારઝુડ કરતાં હોવાની ફરિયાદ કાજલબહેને માતાને કરી હતી. કાજલબહેન ભાઇના લગ્ન હોવાથી બંને પતિ-પત્ની ચકલાસી ગયા હતા. આ સમયે ત્યાં પણ સુરેશભાઇએ કાજલબેન સાથે તકરાર કરી હતી.
જોકે સુરેશભાઇના પિતાની તબિયત નાદુરસ્ત હોઇ, ઘરેથી ફોન આવતાં સુરેશભાઇ પત્ની કાજલને લઇને ચૌહાણપુરા પરત ગયા હતા. વેવાઇની ખબર કાઢવા માટે કાજલબહેનના માતા, ભાઇને અન્ય સ્વજનો જાદવપુરા ગયા હતા. જ્યારબાદ બુધવારે સવારે કાજલબહેનના ભાઇ અજય ઉપર ફોન આવ્યો હતો કે કાજલ હલનચલન કરતી નથી. જેથી તુરંત જ પરિવારજનો ચૌહાણપુરા દોડી ગયા હતા જ્યાં કાજલને ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
આ બાબતે કાજલબેનની સાસુને પૂછતાં તેઓએ અજાણ હોવાનું જણાવ્યું હતું. કાજલનો પતિ સુરેશ સવારથી જ ઘરમાં જોવા ન મળતાં, તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ઘર નજીક આવેલા નિલગીરીના ખેતરમાં આવેલા આંબાના ઝાડ ઉપર સુરેશનો મૃતદેહ પણ લટકતો જોવા મળ્યો હતો.
આ મામલાની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં, પોલીસે સ્થળ ઉપર જઇ બંને મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલમાં આ મામલે કાજલબહેનની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે સુરેશભાઇનો પણ મૃતદેહ મળતાં ખરેખર શું ઘટના બની ? તેને લઇને પોલીસ પણ મૂંઝવણમાં છે.