વડોદરાનાં PIની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે ભેદ ઉકેલાયો : PI અજય દેસાઇએ જ હત્યા કરી હોવાનો ખુલાસો, સ્વીટી પટેલનાં મૃતદેહની શોધખોળ શરૂ
PIની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાનો મામલો
પતિ PI અજય દેસાઈએ સ્વિટીની હત્યાની કરી કબૂલાત
સ્વીટી પટેલનાં મૃતદેહની શોધખોળ શરૂ
સ્વિટી પટેલ ગુમ થવા મામલે ક્રાઈમબ્રાંચને મળી મોટી સફળતા. પતિ PI અજય દેસાઈએ સ્વિટી પટેલની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે. વડોદરાના PI અજય દેસાઈની પત્ની સ્વિટી પટેલ ગુમ હતા. અટાલીથી મળેલા માનવ અવશેષ સ્વિટી પટેલના હોવાની PI અજય દેસાઈએ કબૂલાત કરી છે.
ઘરના બાથરૂમમાંથી મળ્યા હતા લોહીના દાગ
સમગ્ર કેસમાં 49 દિવસ બાદ સ્વિટી પટેલ ગુમ થવાનો કેસ હત્યામાં બદલાઈ ગયો છે. અને ખુદ સ્વિટી પટેલના પતિ અને વડોદરા SOGમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા અજય દેસાઈએ હત્યાની વાતને સ્વિકારી લીધી છે. જો કે, સમગ્ર કેસનો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSના હાથમાં આવ્યા બાદ નવા ખુલાસાઓ થયા હતા. PI અજય દેસાઈના ઘરના બાથરૂમમાં લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા. જે બાદ લાગી રહ્યું હતું કે, કેસ ઉકેલવાની એકદમ નજીક છે. લોહીના સેમ્પલ લઈને FSLમાં મોકલાયા હતા.
કેવી રીતે કરી સ્વિટી પટેલની હત્યા
સ્વિટી પટેલની હત્યાની કબૂલાત તો, PI અજય દેસાઈએ કરી લીધી છે. અને સ્વિટી પટેલને ગળેફાંસો લગાવીને હત્યા કરી હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. જો કે, આ ઘટના પછી લાંબા સમય સુધી કોઈને પણ વાતની જાણ થઈ નહોતી. પરંતુ સ્વિટી પટેલના ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા પુત્રએ સોશિયલ મીડિયામાં અભ્યાન ચલાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે PI અજય દેસાઈ પર શંકાની સોય ફરી હતી. અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દહેજના અટાલી ગામની એક ઈમારત પાસેથી મળ્યા હતા કેટલાક અવશેષ
વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ જગ્યાએથી આ માનવ અવશેષ મળ્યા છે. બિલ્ડિંગ પાછળથી મળી આવ્યા છે શંકાસ્પદ અવશેષ તપાસ માટે એફએસએલમાં મોકલાયા હતા. મળેલ અવશેષોનો DNA ટેસ્ટ પણ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આ અવશેષ સ્વિટી પટેલના હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી હતી.
શા માટે કોંગ્રેસ નેતાની પોલીસે કરી હતી પૂછપરછ
કરજણના કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજા અને સ્વિટી પટેલના પતિ PI દેસાઈ વચ્ચે સારી મિત્રતા હોવાની સૂત્રોકીય માહિતી હતી. અને થોડા દિવસ પહેલા પોલીસને અટાલી નજીક જે ઈમારત પાછળ બળેલા હાડકા મળ્યા હતા. તે જમીનના દસ્તાવેજની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સૂત્રોએ માહિતી જણાવી કે, તેમાં 15 જેટલા ભાગીદારો છે. અને કિરીટસિંહ પણ એક ભાગીદાર છે. 10 વર્ષ અગાઉ આ જમીન પર હોટલનું બાંધકામ શરૂ કરાયું હતું. જે પૂરું થઈ શક્યું નહોતું.