હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.
ગુજરાતના દક્ષિણ વિભાગમાં તેમજ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્કિય થઈ છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
તો આગામી 72 કલાકમાં 40 કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. આગામી 12 મે સુધીમાં થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, રાજકોટ, કચ્છ, પાટણ, અમરેલી, અરવલ્લી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેની અસર થઈ શકે છે.
તો આ સ્થિતિના કારણે રાજ્યમાં ગરમીનો પારો પણ થોડો નીચે ગયો છે. જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. તો આ તરફ રાજકોટમાં કલેક્ટરે તમામ અધિકારીઓને અલર્ટ રહેવા અને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો છે.