વર્તમાન કોરોના સંકટમાં વિશ્વભરના કરોડો લોકો ભૂખમરા તરફ ધકેલાઇ રહ્યા છે એવી સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણીને વિશ્વના તમામ સત્તાધીશોએ ગંભીરતાથી લેવી જોઇએ. ભૂખમરો એ આમ તો સમગ્ર વિશ્વની સમસ્યા છે, પરંતુ ભારતના સંદર્ભમાં આ સ્થિતિ વધુ ચિંતાજનક છે, કારણ કે અહીં વસ્તીનો એક ભાગ તો પહેલાંથી જ ભૂખમરાનો શિકાર બનેલ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારત પાસે ભૂખમરાની સમસ્યા સાથે કામ લેવા પર્યાપ્ત સાધન-સંસાધન હોવા છતાં ભારતની ગણતરી એવા દેશોમાં થાય છે કે જ્યાં ભૂખમરો એ એક મોટી સમસ્યા છે.
કોરોના મહામારી કરતા પણ મોટી ચેતવણી
વિશ્વભરના કરોડો લોકો ભૂખમરા તરફ ધકેલાઇ રહ્યા છે
રિપોર્ટમાં થયો ચિંતાજનક ખુલાસો
ભારતમાં અનાજની કોઇ કમી નથી, પરંતુ ખેદજનક વાત એ છે કે સંગ્રહ સુવિધાના અભાવના કારણે દર વર્ષે લાખો ટન અનાજ સડી જાય છે. વિડંબના એ વાતની છે કે ર૧મી સદીમાં ભારત સહિત વિશ્વભરમાં વસ્તીનો એક એવો મોટો ભાગ છે કે જેને પર્યાપ્ત ભોજન ઉપલબ્ધ નથી. હવે જ્યારે ભોજન જ ઉપલબ્ધ ન હોય ત્યારે પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરવાની તો વાત જ શું કરવી? વિશ્વમાં સૌથી વધુ કુપોષિત એશિયામાં છે, જેમની સંખ્યા ૩૮ કરોડ જેટલી છે. ત્યારબાદ લેિટન અમેરિકા અને કેરેબિયન દેશોનો નંબર આવે છે.
વર્તમાન વૈશ્વિક આર્થિક માહોલ પર આધારિત અનુમાન અનુસાર વર્ષ ર૦ર૦માં ભૂખમરાની યાદીમાં વધુ ૧૩.ર૦ કરોડ લોકો સામેલ થશે. ગત એક વર્ષમાં જ ભૂખમરાનાે શિકાર બનેલા લોકોની સંખ્યામાં એક કરોડનો વધારો થયો હતો. ર૦૧૪ બાદ છેલ્લાં છ વર્ષમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં છ કરોડ લોકોનો જંગી વધારો થયો છે.
આફ્રિકાના અનેક દેશોમાં કોરોનાના કારણે ભૂખમરાના દરમાં વધારો થયો
આફ્રિકાના અનેક દેશોમાં કોરોનાના કારણે ભૂખમરાના દરમાં વધારો થયો છે. કેટલાક દેશો એવા છે, જે ખોરાકની જરૂરિયાતને પૂરી કરવામાં તેમની મોટા ભાગની કમાણી ખર્ચ કરી રહ્યા છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સની આ વર્ષની યાદી જાહેર થઇ ચૂકી છે. તે અનુસાર ભુખમરાનો શિકાર બનેલા દેશોમાં ભારત ૯૪મા નંબર પર છે, જોકે ગયા વર્ષની સરખામણીમાં પરિસ્થિતિ સુધરી છે. તેમ છતાં હજુ આપણે આર્થિક રીતે કમજોર પાડોશી દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાનથી પાછળ છીએ.
ભારતની ૧૪ ટકા વસતિ કુપોષણનો શિકાર
એક અહેવાલ અનુસાર ભારતની ૧૪ ટકા વસતિ કુપોષણનો શિકાર છે. દરમિયાન આપણા માટે એ જાણવું આવશ્યક છે કે કયો દેશ હંગર ઇન્ડેક્સમાં સૌથી ઉપર છે. ભૂખમરાથી શિકાર બનેલા દેશોમાં સૌથી ઉપર નામ હૈતીનું છે. ત્યાં અવારનવાર આવતી કુદરતી આપત્તિ પણ તેનું એક કારણ છે. હૈતીની ૫૫ ટકાથી વધુ વસતિ ગરીબીરેખાની નીચે જીવી રહી છે. ત્રીજા ભાગની વસતિ પાસે જીવન ગુજરાન ચલાવવા માટે ૧૪૦ રૂપિયાથી પણ ઓછી આવક છે.
લિબિયા અને સુદાનથી ઘેરાયેલો ચડ પણ આવો જ એક દેશ છે
લિબિયા અને સુદાનથી ઘેરાયેલો ચડ પણ આવો જ એક દેશ છે, જયાં મોટા ભાગની વસતિને ખાવાનું મળી રહ્યું નથી. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ તિમોર લેસ્તેની વસતિ અનાજની અછતથી પ્રભાવિત છે. દુકાળથી ઝઝૂમતા આ દેશમાં ખેતી નહીંવત્ થાય છે. મડાગાસ્કરમાં ભૂખમરો એટલો વધુ છે કે તેને ગ્લોબલ હંગ ઇન્ડેક્સમાં અલાર્મિંગ (ચિંતાજનક) યાદીમાં રાખવામાં આવ્યો છે. કુપોષણના કારણે લગભગ ૪૧.૬ ટકા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ત્યાં સંપૂર્ણ રીતે થઇ શકતો નથી.
દક્ષિણ આફ્રિકાનો દેશ મોઝામ્બિક ભૂખમરાથી પરેશાન દેશોની યાદીમાં પાંચમા નંબર પર
દક્ષિણ આફ્રિકાનો દેશ મોઝામ્બિક ભૂખમરાથી પરેશાન દેશોની યાદીમાં પાંચમા નંબર પર છે. વર્ષ ૨૦૧૫માં આ દેશની હાલતમાં સુધારો થયો હતો પણ બાદમાં સ્થિતિ સતત કથળી રહી છે. આફ્રિકાના દેશ લેસોતોમાં વર્ષ ૨૦૧૯માં ભયંકર દુકાળ પડ્યો હતો. નાઇિજરિયામાં કુપોષણના કારણે બાળમૃત્યુદર ૧૨ ટકા છે. આ પૂરી દુનિયામાં સૌથી વધુ છે. દેશના વિવિધ ભાગમાં આ દર ઓછા-વત્તા પ્રમાણમાં છે. નાઇિજરિયાના રાજય કેવીમાં ૬૬ ટકાથી વધુ બાળકોનો ખોરાકની અછતના કારણે શારીરિક-માનસિક વિકાસ પ્રભાવિત થયો છે. વિશ્વની તમામ સત્તાઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે ભૂખમરો ભયાનક હદે વધી રહ્યો છે.