કચ્છના માંડવી બંદરનું વહાણવટું સદીઓ જૂનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના સાગરખેડૂઓએ આફ્રિકા ખંડના પૂર્વ કાંઠાને પોતાનું બીજું ઘર બનાવ્યું હતું. મોટા મોટા સ્ટીમરોના યુગમાં આ પરંપરાગત વહાણવટું આજે ઓછું થઇ ગયું હોવા છતાં થોડા નાના-મોટા વહાણો કચ્છી વહાણવટાને જીવંત રાખી રહ્યા છે.
માંડવી પાસેના મોટા સલાયાના આવા જ એક વહાણમાં શારજાહ બંદરે ભીષણ આગ લાગી હતી. સદનસીબે વહાણના 9 ખલાસીઓ બચી ગયા હતા પરંતુ શારજાહાથી યમન જતા આ વહાણમાં રખાયેલી 60 જેટલી કાર બળી ગઇ હતી.
માંડવીના કચ્છી વહાણવટા એસોસિએશનના પ્રમુખ થૈમ હાજી આદમ હાજી સિદિકે જણાવ્યું હતું કે, માંડવી પાસેના મોટા સલાયાનું 600 ટન વજનનું માલવાહક જહાજ અલ મજીદ યમન જવા માટે રવાના થવાનું જ હતું કે તેના પર ભીષણ આગ ફાટી નીકળી હતી. સંભવતઃ આ આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. આ વહાણ મોટા સલાયાના અબ્દુલ મજીદ કાદમ થૈમની માલિકીનું હતું. આ વહાણ પર 9 ખલાસીઓ હતા.
આગની જાણ થતાં જ નાંખવા આસિફ હાજી કાસમ જુણેજા સહિતના બધા સમયસર દરિયામાં કુદી જતાં તેમને બચાવી લેવાયા હતા પરંતુ યમન લઇ જવા માટે વહાણ પર ચડાવાયેલી 60 જેટલી કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
હાલમાં વિશ્વભરમાં ચાલતી મંદીની અસર કચ્છના વહાણવટા પર પણ થઇ છે. તેમાં પણ એક વહાણ અને 60 જેટલી કાર નાશ પામતા વહાણવટા ઉદ્યોગને બમણો માર સહન કરવો પડ્યો છે. આ વહાણ સંયુક્ત અરબ અમિરાતના અલખાન બંદરે છેલ્લા બે માસથી લાંગરેલું હતું.
તે યમન લઇ જવા માટે કાર્ગો મળે ત્યાં સુધી તે ત્યાં જ રહેવાનું હતું. આખરે કાર લઇ જવાનું નક્કી થતાં જહાજને ઉપાડવાની તૈયારી થતી હતી ત્યારે જ આગ લાગી હતી. જેના કારણે મંદીનો વધુ માર વહાણવટાને સહન કરવો પડ્યો છે.