ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે.
ગૂજરતા વિદ્યાપીઠ ફરી વિવાદમાં
ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવાની કરી માગ
અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠ વિવાદનો વડલો બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે ફરી આ સંસ્થા વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ ફી વધારાને લઈને થઈ રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. જે મામલે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને ઈમેલ કરી ફી વધારો પાછો ખેંચવા માંગ કરી છે. વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટને માત્ર વધુ ફી ઉઘરાવવામાં રસ હોવાનો સુર વિદ્યાર્થીઓમાંથી ઉઠ્યો છે.
તમાંમ અભ્યાસની ફી કરાયો વધારો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં હાલ ફી વધારાને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૂજરાત વિદ્યાપીઠની યુજી અભ્યાસની એજ્યુકેશનની ફી તેમજ અન્ય ફી મળી 7 હજાર કરી દેવાઈ છે. જ્યારે પીજી અભ્યાસક્રમની 10 હજાર જેટલી ફી કરવામા આવી છે. ડિપ્લોમા અભ્યાસક્રમની ફી 6 હજાર કરી દેવામાં આવી છે. પીએચડીની ફી 15 હજાર જેટલી કરી દેવામાં આવી છે. આ તમામ ફી અગાઉની ફી કરતા ત્રણથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં ફરી એકવાર વિરોધનો સુર ઉઠયો છે. આ અંગે ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર ભરત જોશી જણાવે છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ફી વધારો કરાયો છે અને તેને લઈને વિદ્યાર્થીઓના ઈમેલ મળ્યા છે પરંતુ આ ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓને મીસગાઈડ કરવામાં આવી રહ્યાં છે આ ફી વધારો નવા એડમીશન લેનારા વિદ્યાર્થીઓ માટે છે.
ઉગ્ર વિરોધના એંધાણ
મહત્વનું છે કે આ અગાઉ ગૂજરાત વિદ્યાપીઠ નવા મેનેજમેન્ટને લઈને તેમજ વિદ્યાપીઠમાં ગંદકીના મુદ્દે વિવાદમાં સપડાઈ ચુકી છે. તેમજ હોસ્ટેલ મરજીયાત કરવા સહિતના અલગ અલગ મુદ્દે ચર્ચામાં પણ રહી છે ત્યારે હવે ફરી એકવાર વિદ્યાપીઠ ફી વધારાના મુદ્દે ચર્ચામાં આવી છે. અને આ મુદ્દે હવે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધના એંધાણ વર્તાઈ રહ્યા છે.