હિમાચલ પ્રદેશના હમીરપુર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને પગલે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાનો ખતરો હવે લોકો પર મંડરાઇ રહ્યો છે. તંત્રે મુંબઇથી પાછા ફરેલા લોકોની બીજી રિપોર્ટ નેગેટિવ આવે તે પહેલા જ ઘરે મોકલી દીધા.
હિમાચલ પ્રદેશના હમીરપુર તંત્રની મોટી બેદરકારી સામે આવી
મુંબઇથી પાછા ફરેલા લોકોની બીજી રિપોર્ટ નેગેટિવ આવે તે પહેલા જ ઘરે મોકલી દીધા
બુધવારે મોડી રાત્રે 15 લોકોની રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી. રિપોર્ટ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. હમીરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ હરિકેશ મીણાએ માન્યુ કે પહેલી રિપોર્ટ સામે આવ્યા બાદથી જ લોકોને ઘેર મોકલી દેવામાં આવ્યા હતા.
મોડી રાત્રે તંત્રે રિપોર્ટ સામે આવ્યા બાદ લોકોને ઘરેથી ઉઠાવ્યા. 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ડીએમે કહ્યું કે કેવી રીતે ભૂલ થઇ તથા આ આખા મામલાની તપાસ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટીન કરવામાં આવશે.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત
મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય છે. એવામાં ત્યાંથી પાછા આવી રહેલા લોકોમાં કોરોના સંક્રમણના ફેલાવાનો ખતરો સૌથી વધારે છે. પાછા ફરી રહેલા લોકો મોટાભાગે મુંબઇ અથવા આસપાસના વિસ્તારોમાં રહે છે. મુંબઇમાં કોરોના વાયરસના 34,018 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસથી મુંબઇમાં 1097 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રથી આવેલા લોકો પર સરકારે ખાસ નજર રાખવાની જરૂર છે.
હિમાચલ પ્રદેશમાં 273 કેસ
હિમાચલ પ્રદેશમાં પણ કોરોના સંકટ વધારે ઘેરાઇ રહ્યું છે. પ્રવાસીઓના પાછા ફર્યા બાદ હવે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 273 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથ અત્યાર સુધીમાં 70 લોકો ઠીક થઇ ચૂક્યા છે, તેમને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દીધા છે. જોકે હાલમાં જ ડિસ્ચાર્જ લોકોને હજુ કેટલાક દિવસો સુધી ક્વૉરન્ટીન રહેવું પડશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને પગલે 5 લોકોના મોત થયા છે.