2022ની તાજેતરમાં જ યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખટીમા સીટ પરથી ચૂંટણી હાર્યા બાદ પણ પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સીએમ બનશે. જાણો કઇ રીતે?
ખટીમાથી હાર થયા બાદ પણ ધામી પર ભાજપે મૂક્યો ભરોસો
શપથ લીધાના 6 મહિનાની અંદર રાજ્યની કોઈ વિધાનસભા સીટ પરથી જીતવું પડશે
મમતા બેનર્જીનો કિસ્સો પણ કંઇક આવો જ હતો
ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીનો શપથગ્રહણ સમારોહ યોજાઇ ગયો છે. જેમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ તેઓ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી બની ગયા છે. પરંતુ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ખટીમા બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ પણ ધામી ઉત્તરાખંડના સીએમ બન્યાં છે. ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે, ચૂંટણી હાર્યા બાદ પણ ઉમેદવારને મુખ્યમંત્રી કેવી રીતે બનાવી શકાય? જાણો શું કહે છે બંધારણ? તમને જણાવી દઇએ કે, સામાન્ય રીતે પાર્ટી હારેલા ઉમેદવારને મુખ્યમંત્રી કે મંત્રી નથી બનાવતી, પરંતુ ઉત્તરાખંડમાં BJP એ પુષ્કર સિંહ ધામીને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, ચૂંટણી પરિણામો બાદથી જ ઉત્તરાખંડના રાજકારણમાં પુષ્કર સિંહ ધામીની ચર્ચા થઈ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, આખરે ચૂંટણી હાર્યા બાદ પણ કયા નિયમ હેઠળ ઉમેદવારને ફરીથી મુખ્યમંત્રી બનાવી શકાય?
BJP's Pushkar Singh Dhami takes oath as the Chief Minister of Uttarakhand, in Dehradun. pic.twitter.com/JpG0dBvnmX
તમને જણાવી દઇએ કે, ભારતીય બંધારણની કલમ 164 (4) મુજબ કોઈ પણ વ્યક્તિને રાજ્યનાં મુખ્યમંત્રી બનાવી શકાય પરંતુ તેની કેટલીક શરતો હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને 6 મહિના માટે મુખ્યમંત્રી બનાવી શકાય છે. જો તે પોતાનો કાર્યકાળ પૂરો કરવા માંગે છે તો તેણે શપથ લીધાના 6 મહિનાની અંદર રાજ્યની કોઈને કોઈ વિધાનસભા સીટ પરથી તેઓએ જીતીને આવવું પડશે. આને જો સરળ ભાષામાં સમજીએ તો મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ 6 મહિનાની અંદર યોજાનારી પેટાચૂંટણીમાં વિધાનસભા ક્ષેત્રમાંથી પુષ્કર સિંહ ધામીએ જીતીને આવવું પડશે.
જો રાજ્યમાં વિધાન પરિષદ છે તો તે MLC તરીકે પણ ચૂંટાઈ શકે છે. મુખ્યમંત્રી પણ એક મંત્રી હોય છે આથી તેમને પણ આ જ નિયમ લાગુ પડે છે. 6 મહિનામાં યોજાનારી પેટાચૂંટણીમાં જો પુષ્કર સિંહ ધામી હારી જાય છે તો તેઓએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે.
રાજકારણના ઈતિહાસમાં એક એવો કિસ્સો પણ સામે આવ્યો છે. વાત છે 2009ની, જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેન તમાડ સીટ પરથી પેટાચૂંટણી હારી ગયા હતાં. ત્યાર બાદ તેઓએ રાજીનામું આપવું પડ્યું હતું અને ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
ખટીમાથી હાર થયા બાદ પણ ધામી પર મૂક્યો ભરોસો
તમને જણાવી દઇએ કે, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022માં જીત દાખલ કરીને ભાજપે રિએન્ટ્રી કરી પરંતુ પુષ્કરસિંહ ધામી ખટીમા વિધાનસભાથી ચૂંટણી હારી ગયા હતાં. તેમ છતાં ભાજપે તેઓની પર ભરોસો વ્યક્ત કરતા ફરીથી તેઓને જ CM બનાવવાનો નિર્ણય લીધો છે.
એ માટે ધામીએ પાર્ટી અને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 'સામાન્ય રીતે પાર્ટીના કાર્યકર્તામાં આટલો વિશ્વાસ રાખવા બદલ તેઓ ભાજપ નેતૃત્વનો આભાર માને છે. ધામીએ ઉત્તરાખંડના લોકોને વચન આપ્યું હતું કે, તેઓ 2025 સુધીમાં રાજ્યને અગ્રણી રાજ્ય બનાવશે. ત્યારે રાજ્યની રચનાને 25 વર્ષ પૂર્ણ થશે.'
ધામીનાં શપથ ગ્રહણમાં પીએમ મોદીની હાજરીથી પણ લોકોને એક મોટો મેસેજ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેનાથી એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ધામીને વડાપ્રધાનનું સીધું રક્ષણ છે. એવું માનવામાં આવે છે કે, PM મોદી એવું ઈચ્છે છે કે ધામી તેમના તમામ ડ્રીમ પ્રોજેક્ટ જલ્દી પૂરા કરે.
શું આની પહેલાં પણ આવું થયું છે?
ઉત્તરાખંડનો તાજેતરનો કિસ્સો કોઇ નવો નથી. આ પહેલાં પણ વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. તેનું સૌથી સચોટ ઉદાહરણ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતાં. તેમ છતાં તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યાં. જો કે, શપથ લીધાના 6 મહિનાની અંદર જ યોજાયેલી પેટાચૂંટણીમાં તેણીએ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં રેકોર્ડ મતથી તેઓ જીતી ગયા હતાં.
બંધારણ કહે છે કે, પુષ્કર સિંહ ધામીએ 6 મહિનામાં પેટાચૂંટણી જીતવી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવા માટે ઘણી સીટો ઉપલબ્ધ થશે. પહેલેથી જ ઉત્તરાખંડના 6 ધારાસભ્યો પોતાની બેઠકો છોડવાની ઓફર કરી ચૂક્યાં છે. જેમાં ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહટોદી, કપકોટના ધારાસભ્ય સુરેશ ગાડિયા સહિત અન્ય 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પુષ્કર સિંહને સમર્થન આપ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડીડીહાટ સીટથી ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બિશન સિંહ ચુફાલને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આ રીતે પુષ્કર સિંહ ધામી પોતાની સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જો નિષ્ણાંતોનું માનીએ તો આ તેમની માટે આ એક સુરક્ષિત બેઠક સાબિત થઈ શકે છે કારણ કે જો તેઓ પેટાચૂંટણીમાં હારશે તો તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે.
મહત્વનું છે કે, પુષ્કર સિંહ ધામીએ આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધાં છે. આ શપથ ગ્રહણ સમારોહ દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો. જ્યાં અનેક રાજ્યોનાં CM તેમજ PM મોદી સહિતનાં નેતાઓ હાજર હતાં. અત્રે શપથ લીધા બાદ ધામી હવે ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી બની ગયા છે.