કહેવાય છે કે જે શ્રદ્ધાળુ ગણેશ ઉપાસક હોય તેના જીવનમાં કોઇ જ દુઃખ આવતું નથી. જો પૂર્વ જન્મનાં કોઇ કર્મોને કારણે આવી ગયું હોય તો બહુ જલદી તે દુઃખ દૂર થઇ જાય જાય છે. આવા પરમ કૃપાળુ છે ગૌરી પુત્ર ગણેશજી. આવો તેમની એક રમ્ય કથાનું અત્રે પાન કરીએ માતા મેના તથા પિતા હિમાલયની પુષ્કળ મનાઇ હોવા છતાં પાર્વતીએ શિવને પામવા પુષ્કળ તપ શરૂ કર્યું. તપથી શિવ પ્રસન્ન થયા. બંનેનાં લગ્ન થયાં. બંને આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં.
એક વખતની વાત છે. ભગવાન શિવ એકાંતમાં તપ કરવા ચાલ્યા ગયા. માતા પાર્વતી એકલાં પડી ગયાં. કૈલાસમાં શિવગણો, નંદિ મહારાજ વગેરે હતા છતાં મા પાર્વતીનું દિલ સોરવાતું હતું. એક વખત તેમને ભવ્ય સ્નાન કરવાનું મન થયું. તેમણે શિવલોકની એક અનુચરીઓ પાસે સ્નાન પહેલાં તેલ માલીશ તથા ઉબટન કરાવ્યાં. તે દરિમયાન તેમના શરીર પરથી મેલ પડયો. રમત રમતમાં તેમણે તે મેલની એક પુરુષાકૃતિ બનાવી તેને પાસે વહેતા ગંગાજીમાં તરતી મૂકી. ગંગાજીના શીતળ જળનો સ્પર્શ થતાં જ મા પાર્વતીને હાથે બનેલ મૂર્તિમાં જીવ આવ્યો. તે મૂર્તિ વિશાળ બની ગઇ.
ગંગાજી તથા પાર્વતી માતા ગાઢ સખી છે. પુરુષાકૃતિમાં પ્રાણ આવ્યા. તેથી પાર્વતીજીએ તેને પુત્ર માની તેને ગળે લગાવ્યો. ગંગાજીએ પણ તેને પુત્ર માની તેના માથે હાથ મૂકયો. દેવતાઓએ આથી તેને ગાંગેય કહી સન્માન કર્યું. કોઇએ તેમને પાર્વતીનંદન કહ્યા. આવા સુંદર પુરુષાકૃત દેવ જોઇ બ્રહ્માજીએ તેમને ગણોના અધિપતિ બનાવ્યા. આ ગણપતિને તમામ દેવતાઓએ પુષ્કળ વરદાન આપ્યાં. તેમને તમામ પૂજાના અધિપતિ અગ્રેસર બનાવ્યા. તેમની પૂજા સૌ પહેલાં થાય તેવાં વરદાન આપ્યાં. જો અન્ય દેવની પૂજા પહેલી કરી તે પછી ગણેશજીની પૂજા કરવામાં આવે તો તે પૂજા તેમને ફળતી નથી. આ કથા પદ્મપુરાણના સ્મૃતિ ખંડમાં છે.
જે મનુષ્ય દૂર્વા વડે દરરોજ ગણેશજીને પૂજે છે તે મનુષ્ય કુબેર જેવો ધનવાન થાય છે. જે મનુષ્ય ડાંગરથી ગણેશજીને પૂજે છે તે મનુષ્ય યશસ્વી અને મેઘાવી થાય છે. જે મનુષ્ય 1000 લાડુ ગણેશજીને ધરાવે છે તે મનુષ્યને જગતનું તમામ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જેે મનુષ્ય દિલથી ગણેશજીને પૂજે છે તે મનુષ્યને દુર્લભમાં દુર્લભ વસ્તુ પણ ખૂબ આસાનીથી પ્રાપ્ત થાય છે
ગણેશજી આપણને ડગલને પગલે તમામ કાર્યોમાં કાર્ય નિર્વિઘ્ન પાર પડાવે છે. તેથી જ તેમનું એક નામ વિઘ્નહર્તા છે. તેમને એક દાંત હોવાથી તેઓ એકદંત તરીકે ઓળખાય છે. તેમનું મોટું પેટ હોવાથી તેઓ લંબોદર તરીકે ઓળખાય છે. તેમનાં સૂપડાં જેટલાં મોટા કાન હોવાથી તેઓ ગજકર્ણને નામે ઓળખાય છે.
જે મનુષ્ય દૂર્વા વડે દરરોજ ગણેશજીને પૂજે છે તે મનુષ્ય કુબેર જેવો ધનવાન થાય છે. જે મનુષ્ય ડાંગરથી ગણેશજીને પૂજે છે તે મનુષ્ય યશસ્વી અને મેઘાવી થાય છે. જે મનુષ્ય ૧૦૦૦ લાડુ ગણેશજીને ધરાવે છે તે મનુષ્યને જગતનું તમામ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જેે મનુષ્ય દિલથી ગણેશજીને પૂજે છે તે મનુષ્યને દુર્લભમાં દુર્લભ વસ્તુ પણ ખૂબ આસાનીથી પ્રાપ્ત થાય છે.
શ્રીમાન ગણેશજી તમામ દુઃખ દૂર કરનાર દેવ છે. તેમની આરાધના જે મનુષ્ય વિધિસર કરે છે તે મનુષ્યની તમામ શુભ ઇચ્છાઓ બહુ જલદીથી પાર પડે છે. ગણેશજીને એક વખત તમે તમારા ઇષ્ટદેવ કે કુળદેવ તરીકે સ્થાપો તે પછી જુઓ તમારા ઘરમાં કેવું ઝડપથી સુખ વૃદ્ધિ પામે છે.ગણેશજીનાં બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે. તેમના બે પુત્રના નામ લાભ અને શુભ છે. આવા ગણેશજીનાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.