વાગવું, પડવું કે દાઝી જવું વગેરે જેવી સમસ્યાઓમાં જો તાત્કાલિક ઉપાયો જાણતા હોઈએ તો તરત જ સારવાર થઇ જાય છે અને દર્દીને ઘણી મદદ મળી શકે છે. આ જ રીતે ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે પણ હાથ દાઝી જાય છે. જેથી દાઝી જવાની નાનીથી લઈને મોટી ઈજાઓમાં સૌથી પહેલાં શું કરવું તે વિશે જાણવું જરૂરી છે.
શું છે પ્રાથમિક સારવાર
પ્રાથમિક સારવાર જયારે કોઈ ને કંઈ વાગે જેમ કે, કપાવું, છોલાવું, દાઝી જવું કે પછી તે રોગગ્રસ્ત થઈ જાય તો દવાખાને લઈ જતા પહેલાં જે સારવાર કરવામાં આવે છે, તેને 'પ્રાથમિક સારવાર' કહે છે.
દાઝી ગયા પછી તેની પ્રાથમિક સારવાર
આગમાં સપડાયેલી વ્યક્તિને આગથી દૂર લઈ જવી.
તેના શરીર પર પ્રસરેલી આગને ઓલવવાના પ્રયત્ન કરવા.દા.ત. જમીન પર આડા પડી આળોટવું.
વહેલામાં વહેલી તકે દાઝેલાં ભાગ કે આખા શરીર ઉપર પાણી રેડવું. જો શરીરના હાથ કે પગ જેવા ભાગો દાઝ્યા હોય તો તેને પાણી ભરેલ ડોલમાં બોળવા અને તેને પાંચ મિનિટ સુધી બોળી રાખવા. આખા શરીર ઉપર દાઝ્યાના કિસ્સામાં, આખા શરીર ઉપર ઠંડુ પાણી રેડવું.
દાઝેલા ભાગ ઉપર ફોલ્લા ઉપસી આવે તો તે ફોડવા નહી કારણ કે ફોલ્લા ઉપરની ચામડી ઘાનું રક્ષણ કરે છે. આ ચામડી ઉતારી લેવામાં આવે તો દાઝેલો ભાગ ખુલ્લો થઈ જવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે.
ફોલ્લાની અંદર શરીરનું મહત્વનું પ્રવાહી ભરાયેલું હોય છે. આ પ્રવાહી સમય જતાં આપોઆપ શરીર પાછું ખેંચી લે છે એટલે તેની ખોટ ઉભી થતી નથી. જો ફોલ્લાને ફોડવામાં આવે તો ઉપરોક્ત અગત્યનું પ્રવાહી શરીરમાંથી વેડફાઈ જાય છે.
દાઝેલા ભાગ ઉપર લોશન કે મલમ લગાડવાની ઉતાવળ ન કરવી.
માત્ર આંગળી કે હાથ-પગ જેવા અંગોનો અત્યંત થોડો ભાગ દાઝેલ હોય તો એન્ટિસેપ્ટીક લગાવી શકાય.
ચોંટી ગયેલ કપડાં કે અંડરવેર ઉતારવાની કોશિશ ન કરવી.
ડોક્ટરનો સંપર્ક કરવો.
જલ્દી ઓસિડ કે આલ્કલીથી દાઝેલ હોય ત્યારે, સૌ પ્રથમ ચોખ્ખાં પાણીથી સાફ કરવું અને શક્ય હોય તો પાણીના નળની નીચે દાઝેલ ભાગ રાખીને સતત પાણીથી ધોવાથી રસાયણની અસર ઓછી થાય છે.
ઇલેક્ટ્રિક શોક લાગવાથી ખૂબ ઊંડે સુધી દાઝી જવાય છે. અને ઘણી વખત હૃદય પણ બંધ પડી જાય છે અને શ્વસોચ્છવાસ પણ બંધ પડી જાય. આવા સમયે પ્રથમ કાર્ડિયાક મસાજ અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની કામગીરી પ્રથમ કરવી અને દાઝેલા ભાગની સારવાર પછી કરવી.