જગતના તમામ યુદ્ધો પાછળ નફરત અથવા મહત્વાકાંક્ષા આ બે જ કારણ જવાબદાર હોય છે. Youthologic માં વાંચો તમારા બાળકને શીખવવા જેવું એક એવું લેસન જે એને દેશના સારા નાગરિક બનાવશે.
જગતના તમામ યુદ્ધો પાછળ નફરત/હેટ્રેડ/ધ્રુણા અથવા મહત્વાકાંક્ષા આ બે જ મુખ્ય કારણ જવાબદાર રહ્યા છે.
બહુ વાંચેલો,બહુ ભણેલો, બહુ ફરેલો કે બહુ સમજેલો માણસ પણ જ્યારે 'સ્ટીરીયોટાઇપ'માં માનવા લાગે અને એવી વાતો કરે ત્યારે સમજવું કે હજુ એણે થોડું વાંચવાનું, થોડી દુનિયા જોવાની, થોડું ભણવાનું કે શીખવા સમજવાનું બાકી છે.
સ્ટીરીયોટાઇપ્સ- બાળપણથી ઊગતા નફરતના મૂળ
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સમાજ વિશેષ વિશે એવી વાત કરે છે કે 'એ તો આવા જ હોય' ત્યારે બેક ઓફ ધ માઈન્ડ ધૃણા કે નફરતનાં બીજ રોપાવા શરૂ થઈ ગયા હોય છે. હિટલરને પણ એમ જ લાગતું હતું કે યહૂદીઓ તો 'આવા જ હોય.' ઘણા ઓસ્ટ્રેલિયન્સને પણ એવું લાગે છે કે 'ભારતીયો તો એવા જ હોય' અને એટલે ત્યાં (ફોર ધેટ મેટર પશ્ચિમમાં બીજે ક્યાંય પણ) ભારતીયોને વંશવાદી ભેદભાવના કારણે જીવ પણ ગુમાવવા પડે છે. અને ધીમે ધીમે રોપાયેલા નફરતના બીજ વખત આવ્યે વિશ્વયુદ્ધ કે કોન્સન્ટ્રેશન ચેમ્બર જેવા સંહારક પરિણામ લાવી શકે.
આપણે જ્યારે સંતાનોને મોટા કરતા હોઈએ ત્યારે આપણા ઓબ્ઝર્વેશન્સ કે સ્ટીરીયોટાઇપ્સના ખીલા એમના દિમાગમાં ન ઠોકી દઈએ એ ધ્યાન રાખવું જરૂરી છે. વાણિયા તો આવા જ હોય, ડોક્ટરોઓ આવા જ હોય, મુસલમાનો તો આવા જ હોય,ક્ષત્રિયો,બ્રાહ્મણો,દલિતો,ખ્રિસ્તીઓ,મલયાલી,બિહારી,પંજાબી,ગુજરાતી...... એ તો આવા જ હોય. એવા આપણા બનાવેલા રેડીમેડ ખયાલો એમને પીવડાવવાથી એની દુનિયાને તમે જીવવા માટે વધારે ખરાબ બનાવી રહ્યા છો.
હા! સમય જતાં અનુભવ સાથે એ પોતે પોતાના ઓબ્ઝર્વેશન્સ નક્કી કરશે જ. પણ એનો હક એને હોવો જોઈએ અથવા કહો કે એ એને પોતાને નક્કી કરવા દો. એક સમય પછી તો એનો અભ્યાસ જ એને સારા નરસાનું ભાન કરાવશે. આપણે ભારતીયો જેને ખૂબ મહત્વ આપીએ છીએ એ બાળપણમાં આપેલા 'સંસ્કાર' પણ પછી તો કદાચ એની અસર નહીં બતાવે.
પણ એ પહેલેથી જ એના મગજમાં આ બધું ઘુસાડી દેવાથી તમે એને દુનીયા વિશે કંઇ પોઝીટીવ ખયાલો નથી આપી રહ્યા. તમે એની અંદર એક પ્રકારની આભડછેટના કે નફરતનાં બીજ અજાણતા જ નાખી રહ્યા છો.
ઉપાય! લાખ દુઃખો કી એક દવા!
હવે આનું સોલ્યુશન શું? એ જ કે બીજા વ્યક્તિમાં રહેલા ઈશ્વરીય અંશને જોતા શીખવું. અમે બંને એક જ ઈશ્વરના સર્જન છીએ. અને અમારા બંનેની અંદર એ જ ઈશ્વર રહેલો છે. જે સનાતન છે, શાશ્વત છે. અને જો તમે નાસ્તિક હોવ તો તો તમારા માટે આ એકદમ સરળ છે. કમસે કમ એ સ્વીકારવું કે મારી જેમ જ બીજી વ્યક્તિ પણ પાંચ મહાભૂતો, બેઝીક એલિમેન્ટ્સ કે સપ્ત ધાતુની બનેલી છે. એની અંદરના લોહીમાં પણ હિમોગ્લોબીન છે અને એ પણ ઓક્સિજન જ લે છે. વિજ્ઞાન ભણેલો માણસ તો સૌથી સારી રીતે સમજી શકે કે તમારું કોઇપણ ધર્મ,જાત,પ્રદેશ કે ઇવન પુરુષ કે સ્ત્રી તરીકે જન્મવું એ એક સંયોગ માત્ર છે. એમાં તમે પોતે કોઈ મોટી ધાડ નથી મારી દીધી. હ્યુમન એમ્બ્રિયોલોજી ભણેલા લોકો હંમેશા આ વાતમાં સહી પુરાવશે. માટે ખરેખર ભણેલો ગણેલો માણસ તો ક્યારેય પોતાને મહાન સમજવાની કે બીજાને હીન અને તુચ્છ સમજવની ભૂલ કરે જ નહીં.
માણસને એની આસપાસના સમય પરિસ્થિતિ ઘડે છે અને એ મુજબ એને બદલી પણ શકાય છે. અનુભવ સાથે પૂર્વગ્રહો બંધાય પણ ખરા ને છૂટે પણ ખરા. એમાં માં બાપ કે શિક્ષકો રસ્તો બતાવી શકે. તો મેક શ્યોર કે તમે આ રીતે એને પોઝીટીવ દિશામાં લઇ જાઓ છો. નફરત કે અશાંતિના રસ્તે નહીં.