જો તમે ઓછા રોકાણમાં બિઝનેસ કરવાનુ વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ હોવા છતાં ઘણા વિસ્તાર એવા છે, જ્યાં પોસ્ટ ઓફિસ નથી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટલ ડીપાર્ટમેન્ટ ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી ખોલવાની અને કમાણી કરવાની તક આપી રહ્યું છે.
જો તમે પણ આ ફ્રેન્ચાઈઝી લેવા માગો છો તો તમારે માત્ર 5000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવી પડશે. ફ્રેન્ચાઈઝી દ્વારા તમે સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ આર્ટિકલ, મની ઓર્ડરની બુકિંગની સુવિધાઓ મળશે અને આ સુવિધાઓ એક નક્કી કરેલા કમિશનની સાથે ફ્રેન્ચાઈઝી લેનારાની નિયમિત આવકનો સ્ત્રોત બનશે.
કોણ લઇ શકે છે ફ્રેન્ચાઈઝી?
કોઈ પણ વ્યક્તિ, સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેમ કે કોર્નર શોપ, પાનવાળા, કરિયાણાવાળા, સ્ટેશનરી શોપ, નાના દુકાનદાર વગેરે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઇ શકે છે. આ સિવાય નવી શરૂ થતી શહેરી ટાઉનશિપ, સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન, નવા શરૂ થતા ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર, કોલેજ, પોલિટેકનિક્સ, યુનિવર્સિટીઝ, પ્રોફેશનલ કોલેજ વગેરે લોકો ફ્રેન્ચાઈઝીનું કામ લઇ શકે છે. ફ્રેન્ચાઈઝી લેવા માટે ભારતીય પોસ્ટ ઓફિસે મિનિમમ ક્વોલિફિકેશન 8મુ પાસ નક્કી કર્યુ છે. વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
કેવીરીતે થાય છે સિલેક્શન?
ફ્રેન્ચાઈઝી લેનારાની પસંદગી સંબંધિત ડિવિઝનલ હેડ દ્વારા કરવામાં આવે છે, જે અરજી મળ્યાના 14 દિવસની અંદર ASP /SDlની રિપોર્ટ પર આધારિત થાય છે. આ જાણી લેવુ જરૂરી છે કે ફ્રેન્ચાઈઝી ખોલવાની મંજૂરી એવી ગ્રામ પંચાયતોમાં મળતી નથી. જ્યાં પંચાયત સંચાર સેવા યોજના સ્કીમ હેઠળ પંચાયત સંચાર સેવા કેન્દ્ર રહેલુ છે.