માખીઓ વરસાદની સીઝનમાં વધારે પરેશાન કરતી રહે છે. કેટલી પણ સફાઈ રાખો તો પણ તેનો કહેર પીછો છોડતો નથી, પણ આ ઉપાયો તમારી મદદ કરી શકે છે.
વરસાદમાં વધે છે માખીઓનો કહેર
માખીઓથી છૂટકારો અપાવશે આ અસરકારક ઉપાયો
જાણો શું કરશો અને કેવી રીતે કરશો તો મળશે રાહત
વરસાદની સીઝન સૌને ગમે છે પરંતુ આ સાથે આ સીઝનમાં માખીઓની સાથે અનેક જીવજંતુનો કહેર વધી જાય છે. માખીઓના કારણે ઘર ને ઓફિસમાં પણ મુશ્કેલી અનુભવાય છે. વરસાદની સીઝનમાં તમે કેટલી પણ સફાઈ રાખો તો પણ માખીઓ તમારા ઘરનો પીછો છોડતી નથી. તેના કારણે ખાવાનું બનાવવાનું અને તેને સાચવવાનું પણ ક્યારેક મુશ્કેલ બને છે. માખીઓના ત્રાસથી છૂટકારો મેળવવો છે તો તમારે આ ઉપાયો કરી લેવા જરૂરી છે. જાણો કયા છે આ સરળ ઉપાયો.
આદુનો કરો ઉપયોગ
માખીઓથી રાહત મેળવવા માટે તમે આદુની મદદ લઈ શકો છો. આ સાથે તમે લગભગ 50 ગ્રામ આદુને બારીક પીસીને પેસ્ટ બનાવી લો અને હવે 2 ગ્લાસ પાણીમાં તેને મિક્સ કરીને સારી રીતે હલાવી લો. હવે તેને ગાળીને એક સ્પ્રેની બોટલમાં ભરી લો. જે જગ્યાએ ઘરમાં માખીનો કહેર વધારે રહેતો હોય ત્યાં તમે આ સ્પ્રે છાંટો. માખીઓ ફટાફટ ભાગી જશે.
મરચાની લો મદદ
મરચાનો ઉપયોગ કરીને પણ તમે માખીઓથી ઝડપથી છૂટકારો મેળવી શકો છો. આ માટે 7-8 લાલ કે લીલા મરચા લો. તેને બારીક પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 2 ગ્લાસ પાણીમાં સારી રીતે મિક્સ કરી લો. 2 મિનિટ સુધી આ મિશ્રણને ગેસ પર ઉકાળો. તેને ઠંડું થવા દો અને એક સ્પ્રેની બોટલમાં ભરીને રાખો. ઘરમાં જ્યા જ્યાં માખીઓ વધારે રહે છે ત્યાં આ સ્પ્રે છાંટો, તેનાથી માખીઓ ઓછી આવશે અને સાથે ધ્યાન રાખો તે સ્પ્રે કરો તે જગ્યાએ બાળકોને ન જવા દો. સાથે સ્પ્રેની બોટલ બાળકોથી દૂર રાખો. જેથી તેમને નુકસાન ન થાય.
તુલસી પણ કરી શકે છે તમારી મદદ
દરેક ઘરમા તુલસીનો છોડ હોય જ છે. તમે માખીઓને ભગાડવા માટે તુલસીની મદદ પણ લઈ શકો છો. આ માટે તમે બાલ્કની કે ગાર્ડનમાં તુલસીના છોડ લગાવો. તેની સાથે તમે તુલસીના પંદર વીસ પાનને લઈને તેની પેસ્ટ બનાવો. તેને પાણી સાથે મિક્સ કરીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરો, માખીઓ જે જગ્યાએ વધારે બેસે છે તે જગ્યાએ તેને છાંટો, માખીને તુલસીની સ્મેલ પસંદ હોતી નથી. તેથી તે જલ્દી ભાગી જશે.
કપૂર પણ કરશે તમારી મદદ
માખીથી છૂટકારો મેળવવામાં કપૂર તમારી મદદ કરે છે. આ સાથે તમે 2-3 દિવસમાં કપૂરને ઘરમાં બાળો. જે જગ્યા પર માખીઓ આવે છે તે સ્થાન પર કપૂરનું સ્પ્રે પણ યૂઝ કરી શકાય છે. સ્પ્રે બનાવવા માટે તમે કપૂરને પીસીને પાઉડર બનાવી લો અને તેને પાણીમાં મિક્સ કરી લો. પછી પાણીને થોડી વાર ગરમ કરો અને કપૂરને તેમાં ઓગળવા દો. ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને પાણીને ઠંડુ થવા દો. પાણીને સ્પ્રે બોટલમાં ભરો અને તેનાથી 2-3 વાર આખા ઘરમાં સ્પ્રે કરી લો. માખીઓ તો ભાગશે પણ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ બની રહેશે.