કોરોનાકાળમાં વપરાતી દવાની કાળા બજારી મોટાપાયે ચાલી રહી છે. તો આવા પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકોને પોલીસ પોતાના સકંજામાં પણ લઈ રહી છે ત્યારે GTU દ્વારા ખાસ ટૅકનોલોજી વિકસાવી છે.
બોગસ રેમડેસિવિરને ઓળખવા અમદાવાદમાં નવી ટેક્નોલોજી
રેમડેસિવિર અસલી છે કે નહીં તેની થઈ શકશે જાણ
GTUના વિદ્યાર્થીઓ એ વિકસાવી ખાસ ટેક્નોલોજી
મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ નકલી રેમડેસિવિર ઈન્જેકશનની ઓળખ કરતી એક મેથડ વિકસાવી છે. સરકારને મદદરૂપ થવાના ભાગરૂપે આ ટેસ્ટિંગ વિના મૂલ્યે કરવાનું નક્કી કરાયું છે.
FDCAને પત્ર લખીને કરાઇ જાણ
તો GTUએ FDCA કમિશનરને આ સંદર્ભે પત્ર લખીને જાણ પણ કરી છે. GTU દ્વારા મહામારીના સમયગાળામાં અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી કાર્યરત રહી છે.
હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી મેથડ દ્વારા કરાઇ છે ચકાસણી
ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) દ્વારા જાહેર કરવામાં આવેલી ચોક્કસ ગાઈડલાઈન મુજબ, પ્રથમ વખત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી(HPLC) મેથડ વિકસાવવામાં આવેલ છે.
વિનામૂલ્યે કરી આપવામાં આવશે ચકાસણી
આ મેથડ થકી જીટીયુ ફાર્મસી સ્કૂલ દ્વારા માત્ર ગણતરીની મિનીટોમાં જ રેમડેસિવિર ડુપ્લીકેટ છે સાચી છે તેનું પરિણામ જાણી શકાય છે.તો નોંધપાત્ર વાત એ પણ છે કે,ડ્રગ્સના પ્રમાણની યોગ્ય ખરાઈ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
તાજેતરમાં જ ગુજરાતમાંથી ઝડપાયો છે 2.73 લાખનો નકલી રમડેસિવિરનો જથ્થો
કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી છે. લોકો ઓક્સિજન માટે, દવાઓ માટે, ખાલીબેડ માટે અને ઇન્જેક્શનો માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે પોલીસે કેટલાક નકલી ઇન્જેક્શનનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગમે તેટલા રૂપિયા આપી પોતાના વ્હાલસોયા સ્વજનોને બચાવવા મથી રહ્યા છે ત્યારે, ગુજરાત પોલીસે ગુજરાતમાંથી નકલી ઇન્જેક્શન બનાવતી ગેંગ પકડી પાડી છે. આ લોકો પાસેથી પોલીસે 2 લાખ 73 હજાર ઇન્જેક્શનનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારે કોરોનાના 13,050 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 130 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજ્યમાં 131 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7779 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,121 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,64,396 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 778 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4693 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1214 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 360 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 563 કેસ, જ્યારે ગ્રામ્યમાં 380 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 593 કેસ અને ગ્રામ્યમાં 133 કેસ નોંધાયા છે.