અત્યારે ઘણાં લોકો સિટિંગ જોબને કારણે નાની ઉંમરમાં જ કમરનો દુખાવો થઈ જતો હોય છે. જેના માટે દવાઓ ખાવાથી કોઈ ફાયદો થતો નથી. પણ જો તમે તેને ઘરે જ ઠીક કરવા માંગતા હોવ તો આજથી જ રોજ 5 મિનિટ તાડાસન કરવાનું શરૂ કરી દો. આનાથી તમારા ઘૂંટણનો દુખાવો પણ દૂર થશે, વજન ઉતરશે અને અન્ય ફાયદા પણ મળશે. આનાથી આખા શરીરમાં ખેંચાણ થાય છે અને શરીરના દરેક ભાગને ફાયદો મળે છે.
આ આસનના ફાયદા
હાઈટ વધારવા માટે- આનાથી કરોડરજ્જૂમાં ખેંચાણ થાય છે, જે હાઈટ વધારવામાં મદદરૂપ છે. જો 5થી 16 વર્ષની ઉંમરના બાળકો આ આસન કરે તો હાઈટનો ગ્રોથ યોગ્ય રીતે થાય છે. આ સિવાય આ આસનથી એકાગ્રતા વધે છે અને શરીર સમતોલ રહે છે.
વજન ઘટાડે છે- તાડાસન કરવાથી આખા શરીરમાં ખેંચાણ પેદા થાય છે. જેથી તે શરીરનો એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં મદદ મળે છે અને બોડી શેપમાં આવે છે.
ઘૂંટણ અને પીઠ દર્દમાં રાહત- આ આસન કરવાથી પીઠમાં ખેંચાણ આવે છે. જેના કારણે પીઠ અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
સ્નાયુઓ અને માંસપેશીઓ માટે ફાયદાકારક- આ આસન કરવાથી માંસપેશીઓ સ્ટ્રોન્ગ બને છે. સાથે જ માંસપેશીઓમાં દુખાવાની પ્રોબ્લેમ પણ દૂર થાય છે.
પગ મજબૂત બને છે- તાડાસનથી પગની માંસપેશીઓ મજબૂત બને છે. જેનાથી પગમાં સોજા, દુખાવો, પગ સુન્ન થવા જેવી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
તાડાસન કરવાની રીત
સૌથી પહેલાં સામાન્ય સ્થિતિમાં ઊભા થઈ જાઓ અને કમર અને ગરદનને સીધી રાખો.
હવે બંન્ને હાથને માથું અને ખભાની ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લેતાં આખા શરીરને ઉપર તરફ ખેંચો અને પગના તળિયા પર ઊભા થઈ જાઓ.
હવે તમને પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિમાં જ્યાં સુધી ઊભા રહેવાય ત્યાં સુધી રહો.
હવે ધીરે-ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ આવો.
સાવધાની
બ્લડપ્રેશર હોય એવા લોકોએ તાડાસન ન કરવું અથવા કોઈ વિશેષજ્ઞની સલાહ લઈને કરવું.
જે લોકોને ચક્કર આવવાની સમસ્યા હોય એ લોકોએ પણ વિશેષજ્ઞની સલાહ લઈને આ આસન કરવું.
ક્યારે અને કેટલીવાર આ આસન કરવું?
સવારે આ આસન કરવાથી સૌથી વધારે ફાયદા મળે છે. પણ જો તમને સવારે સમય ન મળે તો તમે કોઈપણ સમયે આ આસન કરી શકો છો.
ભોજન કર્યા બાદ આ આસન ન કરવું. કારણ કે ભોજન કર્યા બાદ ભોજન પચાવવામાં શરીરની ઊર્જા ખર્ચ થાય છે, જેથી આ સમયે તમે વધુ સમય સુધી આ આસન નહીં કરી શકો.
આ આસન ઓછામાં ઓછું 3-4વાર કરો. વચ્ચે-વચ્ચે તમે 1-2 મિનિટનો રેસ્ટ કરી શકો છો.