જો તમે હાઇ બીપીના પેશન્ટ છો તો ખાવામાં રાખો ખાસ ધ્યાન. નહિ તો બીજી બીમારીઓ થતા વાર નહી લાગે
હાઇબીપીના દર્દીઓ રાખો ખાસ ધ્યાન
માત્ર મીઠું બંધ કરવાથી બીપી કંટ્રોલમાં ન આવે
ખાંડ પણ શરીરમાં ઉતપન્ન કરે છે સોડિયમ
આજના ફાસ્ટયુગમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધારે જોવા મળી રહી છે. બેઠાડુ જીવન, ચિંતા, મોડી રાતના ઉજાગરા, ફાસ્ટફૂડ આરોગવુ તેમજ ચટાકેદાર અનહેલ્ધી વસ્તુઓ ખાવાથી શરીર બગડે છે તે વાત સ્હેજ પણ ખોટી નથી. પરિણામે હાઇબીપી જોવા મળે છે. ત્યારે જો ખોરાક ખાવામાં ધ્યાન નહી રાખો તો હાઇબીપીને કારણે હૃદય રોગનો ખતરો પણ થઇ શકે છે. ભારતમાં શહેરી વસ્તીનો મોટો હિસ્સો હાઈપરટેન્શનનો શિકાર છે, જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તેના કારણે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. ત્યારે વાત કરીએ એવી વસ્તુઓ, જે હાઇબીપીના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ.
સોડિયમ વધારે છે બીપી-હૃદય રોગનું જોખમ
સોડિયમ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે કારણ કે તે લોહીમાં પ્રવાહી સંતુલનને અસર કરે છે. આપણે દરરોજ જે સફેદ મીઠાનો ઉપયોગ કરીએ છીએ તેમાં 40 ટકા સોડિયમ હોય છે. તેથી એવો ખોરાક જેમાં મીઠું અને સોડિયમનું પ્રમાણ વધુ હોય તે હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ. ચિપ્સ, પિઝા, સેન્ડવીચ, બ્રેડ અને રોલ્સ, તૈયાર સૂપ, પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ વગેરે.
ચીઝ
ચીઝ દૂધની એક એવી પ્રોડક્ટ હોઈ શકે છે જેમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે, પરંતુ તેમાં સોડિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. ચીઝની માત્ર 2 સ્લાઈસમાં 512 મિલિગ્રામ સુધી સોડિયમ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં સેચ્યુરેટેડ ફેટ પણ હોય છે. તેથી ચીઝ ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંને વધી શકે છે.
અથાણા
ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે આગળ પડતુ મીઠુ નાંખવામાં આવે છે. આમ કરવાથી ખોરાક જલદી બગડતો નથી. જેમ કે શાકભાજીના અથાણા, મરચા જેવી વસ્તુઓમાં વધારે મીઠું હોય છે. સોડિયમનું પ્રમાણ વધારે હોવાથી તે ખાવુ ભૂલ ભરેલુ છે.
ખાંડ
માત્ર મીઠું જ નહીં પણ ખાંડ પણ તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખાંડનો વધુ પડતો ઉપયોગ, ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ, કેક, ડોનટ્સ જેવી ગળી ચીજ વસ્તુઓ સ્થૂળતામાં વધારો કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર માટે એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ છે. અમેરિકન હેલ્થ એસોસિએશન ભલામણ કરે છે કે સ્ત્રીઓ 25 ગ્રામથી વધુ ખાંડ ન લે અને પુરુષોએ દરરોજ 36 ગ્રામથી વધુ ખાંડ ન લેવી જોઈએ.
દારૂનું સેવન ન કરો
વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી પણ બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમે પહેલાથી જ બ્લડ પ્રેશરના દર્દી છો, તો દારૂનું સેવન કરવુ જોખમી સાબિત થઇ શકે છે. જે લોકોને હાઈપરટેન્શન છે. તેઓ હાઇ બીપીની દવા પણ લઇ રહ્યા છે તો આવા લોકોએ દારુ પીવુ ન જોઇએ કારણ કે દારુ પીવાથી બીપીની દવાની અસર ઓછી થઇ જાય છે.