આજકાલ ઘૂંટણની તકલીફ સામાન્ય બાબત બનતી જાય છે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી પણ સામાન્ય બનતી જાય છે. ઘૂંટણ ડેમેજ થવા પાછળ આમ તો ઘણાં કારણો હોઇ શકે, પરંતુ આજે જણાવીએ કે તમને ઘુંટણની તકલીફ છે તો તમે કેવી રીતે બચી શકશો.
હવે ઘુંટણની તકલીફ માત્ર વૃધ્ધોમાં જ જોવા મળતી નથી. નાની ઉંમરના લોકોમાં ખરાબ લાઇફસ્ટાઇલ, ખોટી ખાણીપીણી અને ગંભીર ઇજાઓના કારણે પણ ઘુંટણની તકલીફ થતી હોય છે. જો સમય પર ડોક્ટરને બતાવી દઇએ તો દવાઓ, એક્સર્સાઇઝ અને વજન ઘટાડીને તેનાથી બચી શકીએ છીએ. કેમકે સમસ્યા વધે ત્યારે સર્જરી એકમાત્ર ઇલાજ છે.
શું છે મુખ્ય કારણ
આમ તો મોટી ઉંમર જ મુખ્ય કારણ છે. તેની સાથે મેદસ્વીતા, આર્થરાઇટીસ, વ્યાયામ ન કરવો, કૃત્રિમ ખાદ્ય પદાર્થ, કીટનાશક વાળા ફુડ અને ધુમ્રપાન અન્ય કારણ છે. મેદસ્વીતા અને નિયમિત વ્યાયામ ન કરવાથી ઘુંટણની મુવમેન્ટ થતી નથી અને તે કમજોર થઇ જાય છે. વળી કિટનાશક યુક્ત આહાર, કૃત્રિમ ખાદ્ય પદાર્થ અને ધુમ્રપાનથી ઘુંટણને મજબુતાઇ આપતા કાર્ટિલેજ ઘસાવા લાગે છે.
ની રિપ્લેસમેન્ટ સર્જરી ક્યારે જરુરી
ચાલવુ, ઉઠવુ, બેસવુ કે પથારીમાંથી ઉઠવું મુશ્કેલ બની જાય ત્યારે, પેઇન કિલર દવાઓ પર સંપુર્ણ નિર્ભર રહેવુ પડે ત્યારે, ફિઝિયોથેરેપી અને વ્યાયામથી આરામ ન મળે અને ઘુંટણ વાંકા થઇ જાય આવા સંજોગોમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી જરુરી બને છે. 98 ટકા દર્દીઓને ની રિપ્લેસમેન્ટ સર્જરી બાદ કોઇ પરેશાની થતી નથી. દર વર્ષે દેશભરમાં 2 લાખથી વધુ સર્જરીઓ થાય છે.
સર્જરી બાદ શુ સાવધાની રાખવી
ની રિપ્લેસમેન્ટ સર્જરી બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જો ડાયાબીટીસના દર્દી હોય તો શુગર કન્ટ્રોલમાં રાખો. શુગર લેવલ વધવાથી વ્યક્તિને ઘુંટણમાં ઇન્ફેક્શનની શક્યતાઓ રહે છે. સ્પોર્ટ્સ ઇન્જરીમાં ફ્રેક્ચરની શક્યતાઓ સૌથી વધુ રહે છે.
રોબોટિક સર્જરી પણ થાય છે
હવે ઘુંટણની સર્જરીમાં મેન્યુઅલના બદલે રોબોટિક સર્જરી વધુ કારગત છે. તેમાં સીટી સ્કેનની મદદથી ઘુંટણનું 3ડી મોડલ તૈયાર કરવામાં આવે છે અને લિગામેન્ટ સ્ટ્રેસ અનુસાર સર્જરી કરવામાં આવે છે. રોબોટિક ટેકનીકથી આખા ધુંટણ કે આંશિક સર્જરી પણ થાય છે. તેના દોઢ મહિના બાદ વ્યક્તિ ડ્રાઇવિંગ, સાઇકલિંગ અને રમી પણ શકે છે અને પલાઠી વાળીને બેસી પણ શકે છે.