દેશમાં ચાલી રહેલી મંદી અને બેરોજગારીની વાતો વચ્ચે દિવાળી આવી એટલે કંઈક લેવાલી ( ખરીદી) નીકળી અને દિવાળી સુધરી એવા સમાચારો મળ્યા. પણ શું તમે ગુજરાતના ખેડૂતોની દિવાળી કેવી તેની પરિસ્થિતિ સાંભળી. VTVGujarati.comએ રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ખેડૂતોની સ્થિતિ કેવી છે. તેમની દિવાળી ઉજાસ લઈને આવી છે કે અંધકાર?
ખર્ચા જેટલું ય ઉત્પાદન નહીં, કઈ રીતે કરવી દિવાળી?
વરસાદે મહેર કરી પણ પાક તો નિષ્ફળ
પ્રાકૃતિક ખેતીથી મારી દિવાળી સુધરી ગઈ
જગતના તાતની દિવાળી કેવી છે તે જોવા માટે તો તેમના સુધી પહોંચવુ પડે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જ તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે ખેડૂતોની અવગણના કોઈપણ રીતે અર્થતંત્રને નફાકારક કેવી રીતે હોઈ શકે ? VTVGujarati.com દ્વારા જ્યારે અન્નદાતા ખેડૂતોની કથની સાંભળી તો અહેસાસ થયો કે આમને તો દિવાળીએ શું ને હોળીએ શું ? ખેડૂતો ની વ્યથા કાં તો જાણીને અણદેખી કરાઈ રહી છે અથવા વિકાસને નામે કોઈકને તો ભોગ આપવો પડે તેમનો ભોગ લેવાઈ રહ્યો છે.
જુદા જુદા જિલ્લાના ખેડૂતોનો સૂર
આ અંગે રાજ્યના જુદા જુદા ખેડૂતોનું મંતવ્ય જુદુ જુદુ ભલે હોય પણ તેમનો સૂર તો એક જ છે. રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, સોમનાથ અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો અલગ અલગ ખેતી કરી છે પણ તેમને જોઈએ તેવા ભાવ નથી મળી રહ્યા. આ બધા વચ્ચે પ્રાકૃતિક ખેતીથી એક જ સિઝનમાં ત્રણ ફાલ લેવાવાળા ખેડૂતો પણ મળ્યા પણ કહેવાનું એટલુ જ કે સરકાર ટેકાના ભાવે ખેતપેદાશો તો લે છે પણ ખરેખર ખેડૂતોનો ખર્ચો પણ ધ્યાને લેવાય તો સારૂ.
આ સરકારે તો ખેડૂતને પતાવી દિધો
'રાજકોટ જિલ્લાના એક ખેડૂત અને સહકારી નેતા સાથે વાત થઈ કે કાકા તમારી દિવાળી કેવી, તો તરત જ બોલ્યા આ સરકારે તો ખેડૂતને પતાવી દીધો. વધુમાં જણાવ્યું કે સારો વરસાદ થયોને ઉત્પાદન સારુ થશે તો આ ભાવ ઘટી જશે. અને આ મગફળીમાં ટેકાના ભાવ જાહેર કર્યા પણ શું કરવાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી થતું. ભાઈ આ સરકાર જ ખેડૂતને લુટવાં બેઠી છે.' નયન જીવાણી- ભાયાવદર- રાજકોટ
ટેકાના ભાવે પાક ખરીદે પણ પૈસા ત્રણ મહિને આપે છે
'મહેસાણા જિલ્લાના એક ખેડૂત સાથે વાત થઈ કે ભાઈ તમારી દિવાળી કેવી? તો કહે છે કે શું કહું સાહેબ આ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા પણ પેમેન્ટ ક્યાં ટાઈમે થાય છે. જો ટેકાના ભાવે મગફળી વેચી તો ઉદાહરણ તરીકે 1100 રૂ. મણ વેચાઈ પણ વેચ્યાનાં ત્રણ મહિને રૂપિયા આવે શું કરવાનું. જ્યારે દલાલ કે વેપારીને વેચીયે તો 1050 રૂ આપે પણ પેમેન્ટ તરત આપી દે.' અશોકભાઈ પુરષોત્તમદાસ પટેલ, સાંકાપુરા- મહેસાણા
પ્રાકૃતિક ખેતીથી મારી દિવાળી સુધરી ગઈ
'બનાસકાંઠ જિલ્લા ખેડૂત કહે છે કે વધુ વરસાદ થયો પણ મેં રાસાયણિક ખેતીને છોડી ગાય ખેતર લાવી પ્રાકૃતિક ખેતી કરી એટલે બધા કરતાં મારી દિવાળી સુધરી ગઈ. પહેલાં એરંડા વચ્ચે મગફળીનો પાક લીધો હવે મકાઈ વાવી છે. અર્થાત્ ત્રણ ગણું ઉત્પાદન લઈશ. બધા ખેડૂતો કહી રહ્યા છે કે અમારી દિવાળી બગડી પરંતુ ના મારી અને મારા પરિવારની આ પ્રાકૃતિક ખેતી ના કારણે દિવાળી સુધરી ગઈ છે.' ભીખાભાઈ ભુટકા- બનાસકાંઠા
વરસાદે મહેર કરી પણ પાક તો નિષ્ફળ
'સોમાનાથ જિલ્લાના ખેડૂતે વાત કરતાં કહ્યું કે અહીં તો સારો વરસાદે મહેર કરી પણ પાક તો નિષ્ફળ ગયો. આ દિવાળી આવી ગઈ હજુ સુધી ખેતરોમાં પાણી ભર્યા છે. પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે. અને એક રૂપિયાનું વળતર મળવાનું નથી. સરકાર વળતર આપવાની નથી અને આ છોકરાઓ ખર્ચા કરશે પૈસા લાવવા ક્યાંથી.' કલ્પેશભાઈ પતાત- ભાલકા, સોમનાથ
ખર્ચા જેટલું ય ઉત્પાદન નહીં, કઈ રીતે કરવી દિવાળી?
'ગાંધીનગર જિલ્લાના ખેડૂત કહે છે કે આ વર્ષે ખર્ચા જેટલું ય ઉત્પાદન નથી થવાનું. મગફળી અને કપાસના પાકમાં જેટલા ખર્ચ્યા એટલા પૈસા પણ નહીં મળે. દિવાળી આખી નિષ્ફળ ગઈ છે કોઈ આવક જ નથી. કઈ રીતે કરવી દિવાળી? અમારી પરિસ્થિતિતો ખરાબ થઈ ગઈ છે. પાંચ -પાંચ મણ કપાસ થશે. વધુ કંઈ નથી.' નટવરભાઈ ભોળાભાઈ પટેલ- માણસા