તમે કોઈ પણ દેવી દેવતાના સ્થાનકે ગયા હશો ત્યારે પ્રદક્ષિણા તો જરૂર કરી જ હશે, પણ વિવિધ સ્થાનકની ભિન્ન ભિન્ન છે પ્રદક્ષિણા. ભગવાનની પ્રદક્ષિણા કરવાથી માણસ પુણ્યકણો તથા પવિત્રકણોયુક્ત બને છે પરંતુ તે અંતરની દિવ્યદૃષ્ટિથી જ જાણી શકાય છે.
દૈવી શક્તિ તથા તેનું તેજોવલય સ્વભાવતઃ દક્ષિણાવર્તી (જમણી બાજુ) હોય છે એટલે કે એ મંડલની દિવ્ય પ્રભા સદૈવ દક્ષિણ તરફથી એટલે કે જમણી બાજુથી ગતિમાન થાય છે. જે સ્થાન પર દેવતાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે સ્થાનના મધ્યબિંદુથી કેટલાક અંતર સુધી દેવતાની દિવ્યપ્રભા પથરાયેલી હોય છે. નિકટમાં તે વધુ અને દૂર ક્રમશઃ ઓછી થતી જાય છે.
તે દેવતાની ચારે બાજુ કરવાથી તેના તેજોમંડલ નીકળતા હોવાથી આપણને ચારે બાજુથી ચોંટી જાય છે અને તેજની આ લહેરોની ગતિની દિશામાં આપણે પણ ચાલીએ તો તે દેવતાના જ્યોર્તિમંડલના અંતર્ગત રહેલાં દિવ્યકણોના લીધે સત્ત્વગુણના પરમાણુ તથા પવિત્ર ગુણોની સહજ પ્રાપ્તિ થાય છે. તેથી દેવતાના તેજ જમણી બાજુથી જતાં હોવાથી તેની પ્રદક્ષિણા પણ તે રીતે કરવામાં આવે છે. દેવતાની ચારે બાજુ દક્ષિણાવર્તી ફરવું તે પ્રદક્ષિણા કહેવાય છે. તેથી જેટલી અધિક પ્રદક્ષિણા કરવામાં આવે તેટલી વધુ દિવ્યતા આપણે પ્રાપ્ત કરીશું અને આપણું વ્યક્તિત્વ સ્વચ્છ અને પુનિત બનશે.
દૈવી આભા મંડલની ગતિ દક્ષિણાવર્તી હોય છે તેથી તેની વિરુદ્ધ આપણી ગતિ હોય એટલે ડાબી બાજુથી હોય એટલે કે પ્રદક્ષિણા ડાબી બાજુથી કરતા હોઈએ તો આપણા અંદર જે દિવ્ય પરમાણુ પહેલેથી અસ્તિત્વમાં છે તે જયોતિમંડલના સંઘર્ષમાં આવવાથી તેનો અપવ્યય થશે અને તે નષ્ટ પામશે અને દિવ્ય આ પુણ્યકણોના નાશ થવો એ એક પ્રકારનું પાપ છે. તેથી વામર્વિતની-ડાબી બાજુની પરિક્રમા પાપરૂપ છે.
મહાદેવજીના બારામાં પ્રદક્ષિણામાં તેની જલાધારીના નીચલા ભાગ સુધી થઈ પાછા ફરવાનું હોય છે. તેથી મહાદેવજીની પરિક્રમા વિશિષ્ટ પ્રકારે બંને બાજુથી કરવાની હોય છે. તેની પાછળ એક ભાવનાત્મક કારણ પણ છે કે શિવલિંગના થાળામાંથી જે અભિષેકનું પાણી વહેતું હોય છે તે ઓળંગવું ન જોઈએ પરંતુ કેવળ આ એકમાત્ર અપવાદ સિવાય બધા જ દેવતાઓની પ્રદક્ષિણા જમણી બાજુએથી કરવાની હોય છે.
પ્રદક્ષિણાનું મહત્ત્વ અને તેની પદ્ધતિ ધ્યાનમાં રાખી આપણે પણ પ્રદક્ષિણા કરીશું તો આપણને પણ તે દિવ્યપ્રભાના પરિણામની અનુભૂતિ થશે જ. પ્રદક્ષિણા કરવી એટલે ભગવાનના સ્વરૂપને મનમાં અંકિત કરવું. એક પ્રદક્ષિણા કરી એટલે ભગવાનનાં મુખારવિંદનાં દર્શન કરવાના. પછી બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રદક્ષિણા, એમ એક એક પ્રદક્ષિણા કરતા જવાનું અને ભગવાનમાં વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જવાનું. જેટલી પ્રદક્ષિણા વધારે તેટલી પ્રભુની મૂર્તિ મનમાં વધુ અંકિત થતી જશે.
ગણપતિ દેવને ત્રણ, શ્રી નારાયણજીને ચાર તો શિવજીને અડધી પ્રદક્ષિણા કરવી, સૂર્યદેવને સાત અને દેવીને એક પ્રદક્ષિણા કરવાનું સૂચવાયું છે. અગ્નિપુરાણમાં પીપળાના વૃક્ષને સાત પ્રદક્ષિણા કરવાનું ઉપબોઘ્યું છે. ભગવાન જ્યારે પોઢી ગયા હોય, ભગવાનની આરતી થતી હોય ત્યારે પ્રદક્ષિણા મંદિરમાં કરવી જોઈએ નહીં.•