ગુજરાત વિધાનસભા ચુંટણીઓ 2022ની જાહેરાત થતાની સાથે જ તમામ પક્ષો પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. આ વખતે ત્રિપાંખીયો જંગ છે તે જાણીતી વાત છે, પરંતુ કેટલીક બેઠકો પર ત્રણ નહીં, ચાર પક્ષો ચુંટણી લડી રહ્યા છે. ત્રીજો કે ચોથો પક્ષ સત્તા પર તો ન આવે, પરંતુ તે ભાજપ અને કોંગ્રેસની બેઠકોને અસર ચોક્કસ પણે કરી શકે છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત ઔવેસી (AIMIM)નો પક્ષ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જઇ રહ્યો છે.
ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 9.67 ટકા છે. રાજ્યની 34 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતદાતાઓની ભાગીદારી 15 ટકા અને 21 વિધાનસભા બેઠકો પર 20 ટકા કે તેનાથી પણ વધુ છે. અમદાવાદની ચાર, ભરુચ અને કચ્છની ત્રણ-ત્રણ બેઠકો પણ મુસ્લિમ બહુમતી વાળી માનવામાં આવે છે. મુસ્લિમ મતદાતાઓની એકજુટતાના લીધે તેમાંથી મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસ જીત મેળવે છે. જોકે આ વર્ષે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ નથી. મુસ્લિમ મતોના દાવેદારના રૂપમાં અરવિંદ કેજરીવાલ અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટી પણ મેદાનમાં આવી ચુકી છે.
2017માં મુસ્લિમ ઉમેદવારો કેટલા વોટથી જીત્યા હતા
2017ની ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસે છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી ચાર મુસ્લિમ ઉમેદવારોએ જીત મેળવી હતી. દરિયાપુરની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના શેખ ગ્યાસુદ્દીનને 63,712 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના ભરત બારોટને માત્ર 6,187 વોટથી હરાવ્યા હતા. વાંકાનેર બેઠક પરથી કોંગ્રેસના પીરજાદા મોહમ્મદ જાવેદને 72,588 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કોમાણીને માત્ર 1361 વોટથી હરાવ્યા હતા. ડાસડા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર નૌશાદજી બાલાજી ભાઇને 74,009 વોટ મળ્યા હતા, તેમણે ભાજપના ઉમેદવાર રામલાલ વોરાને માત્ર 3728 બેઠકના અંતરથી હરાવ્યા હતા. સૌથી મોટી જીત ખાડિયા-જમાલપુર બેઠક પરથી યુસુફભાઇને મળી હતી. તેમને 75,346 વોટ મળ્યા હતા. તેમની સામે ભુષણ ભટ્ટ 29,339 વોટથી હારી ગયા હતા. ભુષણ ભટ્ટને માત્ર 46,007 વોટ મળ્યા હતા. પક્ષના અન્ય બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેની સામે ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી.
ભાજપ મામુલી અંતરથી હારી છે બેઠક
2017ની વિધાનસભાની ચુંટણીઓમાં ભાજપ મુસ્લિમ બેઠકો પર બહુ મામુલી વોટોના અંતરથી ચુંટણી હારી ગયુ હતુ. જો આ વખતે મુસ્લિમ મતદાતાઓના ભાગલા પડી જશે તો ભાજપને લાભ થઇ શકે છે. જો ખરેખર મુસ્લિમ મતો વહેંચાઇ જાય તો બની શકે છે કે ભાજપને મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર પણ બહુમતી મળી શકે છે.
ઔવેસીથી કોંગ્રેસને થશે નુકસાન?
અસદુદ્દીન ઔવેસીની પાર્ટી (AIMIM)આ વર્ષે ગુજરાતની 50 જેટલી બેઠકો પર ચુંટણી લડવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી તેઓ અમદાવાદની ત્રણ બેઠકો અને સુરતની બે બેઠકો પર ઉમેદવાર જાહેર કરી ચુકી છે. મુસ્લિમોની વચ્ચે ઔવેસીની વધતી લોકપ્રિયતાથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે તેમના ઉમેદવારોને વિધાનસભાની ચુંટણીઓમાં સારા એવા વોટ મળી શકે છે, જોકે આમ થયુ તો તેનું સીધુ નુકસાન કોંગ્રેસને થશે.
કયારે કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા
1990ની ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં બે મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ 1995માં પાંચ, 2002માં ત્રણ, 2007માં પાંચ, 2012માં બે અને 2017ની છેલ્લી ચુંટણીઓમાં ચાર મુસ્લિમ ઉમેદવારોએ જીત મેળવી હતી. અહમદ પટેલ ગુજરાતમાંથી અંતિમ મુસ્લિમ સાંસદ હતા, હાલમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક પણ મુસ્લિમ સાંસદ નથી. જોકે એ પણ એટલુ જ સત્ય છે કે મુસ્લિમ મતદાતાઓ પણ હવે ભાજપને 'અછુત' માનતા નથી. આંકડા કહે છે કે 2017ની ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં 20 ટકા મુસ્લિમ મતદાતાઓએ ભાજપને વોટ આપ્યો હતો. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 25 બેઠકોમાં મુસ્લિમોના વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે.