જામનગરમાં લગભગ 53.98 ટકા મતદાન; જામનગર ઉત્તર બેઠક પર 55.96 ટકા મતદાન નોંધાયું, ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ
જામનગરમાં લગભગ 53.98 ટકા મતદાન થયું
જામનગર ઉત્તર બેઠક પર 55.96 ટકા મતદાન નોંધાયું
ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જામનગર જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તાર પર લગભગ સરેરાશ કુલ 53.98 ટકા મતદાન થયું છે. જેમાં જામનગર-ઉતરમાં 55.96 ટકા, જામનગર-દક્ષિણમાં 44.63 ટકા અને જામજોધપુરમાં 61.73 ટકા તેમજ કાલાવડમાં 53.58 ટકા, જામનગર-ગ્રામ્યમાં 53.83 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આજે જામનગર ઉત્તર બેઠક પર શાંતિપ્રિય માહોલમાં મતદાન સર્જાયું હતું.
જુઓ, 5 વાગ્યા સુધી જામનગરમાં કેટલું મતદાન થયું
જામનગર ઉત્તર બેઠક જંગમાં આમને-સામને કોણ?
જામનગર જિલ્લાની ચર્ચાસ્પદ બેઠક પૈકીની એક બેઠક જામનગર ઉત્તર છે જ્યાં રાજકીય જંગમાં ભાજપે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા મેદાન ઉતાર્યા તો જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જે તમામનો રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થયો છે. જાણીએ જામનગર ઉત્તર બેઠકની કેટલીક વિગતે માહિતી
ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી: રિવાબા
આજે રીવાબાએ દિવસ રાત એક કરી મહેનત કરતા કાર્યકરોની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જેમાં માઇક્રોપ્લાનિંગ અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા હોવાની વાતને રિવાબા સૂર પુરાવ્યો હતો. વધુમાં ગુજરાત ચુંટણીમાં આપની એન્ટ્રીને લઇને ત્રીપાંખિયા જંગ વિષે વાત કરતાં તેમણે કહ્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો ન હોવાથી ત્રિપાંખીયા જંગની કોઈ અસર વર્તાશે નહી તેવો દાવો કરી રિવાબાએ કહ્યું હતુ કે, ગુજરાતની જનતા હંમેશા ભાજપની સાથે જ છે અને રહેશે. બીજી બાજુ પરિવાર સાથેની ચૂંટણી લડાઈ અંગે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને આપી હતી તક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જે તમામનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થયું હતું.
રિવાબાને જીતાડવા રવિન્દ્ર ઉતર્યા હતા મેદાનમાં
પત્ની રિવાબા જાડેજાને જીતાડવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા, ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો પણ યોજ્યો હતો.
આ બેઠક રાજકીય ઈતિહાસ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં સમાવિષ્ટ આ બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારબાદ આહીર સમાજનો નંબર આવે છે. જામનગર ઉત્તરની આ બેઠક પર ભાજપનો કબજો છે અને વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેવાદર જીવણભાઈ કુંભારવાડિયાને હરાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ 2017માં તેઓ પક્ષ બદલીને ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. 2012માં ધર્મેન્દ્ર સિંહે (હકુભા) ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા.