જૂનાગઢના કેશોદમાં તુવેરકાંડ સામે આવ્યા બાદ વિસાવદરમાં પણ કૌભાંડની શક્યતાને જોતા ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જનતા રેડ કરી હતી અને બાદમાં ધરણા કરતાં તુવેરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વિસાવદરમાં નબળી ગુણવત્તાની તુવેર ટેકાના ભાવે આપી દેવાનો કારસો સામે આવ્યો છે. આ તુવેરકાંડના અનેક સહસ્ય છે, ઘણા તાર તેની સાથે જોડાયેલા છે, જોઇએ તુવેરકાંડનો સમગ્ર અહેવાલમાં.
ગ્રેડર દ્વારા યાર્ડમાં તપાસ કરતાં પ્રથમ ખરીદેલી તુવેરની 11 બોરીઓ ખોલવામાં આવી હતી. તે પૈકી 6 બોરીઓમાં માત્ર લેબલ લગાવેલા હતાં, પરંતુ જે ખેડુતોની તુવેર હતી તેમાં એનરોટમેન્ટ નંબર અને કઇ તારીખે ખરીદી કરવામા આવી તે ન હતું. જ્યારે પાંચ બોરીમાં નંબર અને તારીખ લખેલા હતાં. જે બોરીમાં નંબર અને તારીખ લખેલા હતાં તે અને જે બોરીમાં નંબર અને તારીખ લખેલા ન હતાં તે બોરીના ઢગલા કરવામાં આવ્યાં હતાં. બાદ બંને ઢગલામાંથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
જે બોરીમાં ખેડુતનાં નંબર અને તારીખ હતાં તે તુવેરનો રીપોર્ટ ખરીદવા લાયક આવ્યો. જયારે નંબર અને તારીખ વિનાની 6 બોરીનો રીપોર્ટ ખરીદવા લાયક ન હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે ભરત વઘાસિયાની વાડીમાંથી જે જથ્થો મળ્યો હતો તેમાં નાફેડના લેબલ મળવા જોઇતા હતા. પરંતુ આ કોથળા યાર્ડના ગોડાઉન નં 83માં ખાલી મળ્યા હતાં.
ચૂંટણી દરમિયાન અધિકારીઓ વ્યસ્ત હોય તે સમયે સારો અને નબળો તુવેરનો જથ્થો જુદો પાડવાની કામગીરી થતી હતી. તે દરમિયાન ખેડુતપુત્ર હિત રક્ષક સમિતીએ માર્કેટયાર્ડે ધસી આવી શંકાસ્પદ કામગીરી અટકાવી જેના કારણે અધિકારીઓએ 3241 ગુણી તુવેર સીઝ કરી હતી. જયારે સમિતીએ કૌભાંડનો વધારાનો જથ્થો આરોપીની રામપરા વાડીમાંથી પકડ્યો હતો.
વિસાવદર તુવેરકાંડ મામલો
વિસાવદરમાં તુવેર કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. વિસાવદરમાં નબળી ગુણવત્તાની તુવેર ટેકાના ભાવે આપી દેવાનો કારસો સામે આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવતા તુવેરની ગુણી પર ટેગમાં નંબર અને ખરીદી કરવાની તારીખ પણ લખવામા આવી ન હતી. જેના કારણે વિવાદ થયો છે. આ મામલે તટસ્થ તપાસની માગ સાથે આજે ધારાસભ્યો મળીને કલેક્ટરને આવેદન પત્ર આપશે.
મહત્વનુ છે કે, જૂનાગઢ જિલ્લામાં ત્રણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી કેશોદ, વિસાવદર અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થતી હતી. ત્રણ યાર્ડમાંથી કેશોદ અને વિસાવદરમાંથી આવ્યું કૌભાંડ સામે છે. આ બન્ને જગ્યાએ અધિકારીઓ દ્વારા અલગ-અલગ મોડ્સ ઓપરેન્ડી અજમાવાઈ હતી. કૌભાંડીઓ દ્વારા ખેડૂતોના નામે નબળી તુવેર પધરાવવામાં આવી છે. સાથે જ વિસાવદરમાં નબળી તુવેરની ગુણીઓ ઉપર ટેગ પણ મારવામાં આવ્યા નથી. તુવેરની ગુણીઓ પર ટેગ મારવાના ફરજિયાત હોય છે. તેમ છતા ટેગ અથવા ખેડૂતનુ નામ લખવામાં આવ્યુ નથી. જેથી અધિકારીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
કેશોદ તુવેરકાંડ મામલો
જૂનાગઢના કેશોદમાં તુવેર કાંડનો પર્દાફાશ થયો છે. તુવેર કાંડ સામે આવતા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે 3 અધિકારીઓ સહિત 7 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે, 24 એપ્રિલે કેશોદના માર્કેટિંગ યાર્ડમાંથી તુવેરકાંડનો પર્દાફાશ થયો હતો. ખરીદી પૂર્ણ થતાં યાર્ડના શેડમાંથી માલ ગોડાઉન સુધી પહોંચતો કરવાનો હતો. જોકે 3 ટ્રકમાંથી નબળી ગુણવત્તાની તુવેર મળી આવી હતી. નબળી તુવેર વાળી ટેકાના ભાવે ખરીદેલી 3241 ગુણી સીઝ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કુલ 90 લાખની કિંમતનો જથ્થો સીઝ કરાયો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
તુવેર કાંડની તપાસમાં કેશોદના રાજકીય નેતાના નામ સામે આવે તેવી શક્યતા છે. આ કેસમાં અનેક અધિકારી અને કર્મચારીના નામ પણ ખુલી શકે છે. આ મામલે સરકારના મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ પણ કરી છે. ત્યાર બાદ 27 એપ્રિલે ભરત વઘાસીયાની વાડીમાંથી તુવેર મળી હતી. ભરત વઘાસીયાની વાડીમાંથી 700 બોરી શંકાસ્પદ તુવેર મળતા અનેક સવાલ ઉઠ્યા હતા. તુવેર મળ્યા બાદ ખેડૂત હિત રક્ષક સમિતીના સભ્યોએ ઉપવાસ શરૂ કર્યા અને વિસાવદરના MLA હર્ષદ રિબડીયાએ ધરણા કર્યા. આ સમગ્ર મામલે કલેક્ટરે લેખિતમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. ત્યારે હવે આ કાંડમાં ક્યા સુધી તપાસ પહોંચશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.