માનવ સ્વભાવની એક ખાસિયત હોય છે કે તે ભૂલોમાંથી કંઈકને કંઈક હંમેશા શીખતો રહે છે...પરંતુ શું તમામ વ્યક્તિ તેનો અમલ કરી શકે છે ખરો? ના. અને જો તેવુ થઈ જ શકતુ હોત તો આ દેશમાં ઘણો ખરો બદલાવ આવી શક્યો હોત. પરંતુ કમનસીબીની વાત તે છે કે દેશને ચલાવનારા અધિકારીઓ,વહીવટી તંત્ર,સરકારો અનેક અનુભવો બાદ પણ ક્યારેક કશું શીખી જ ન હોય તેવું આપણને લાગે છે..આવો જ કંઈક હાલ છે ગુજરાતમાં...એક બાદ એક સામે આવેલા કૌભાંડો બાદ પણ ન તો વહીવટી તંત્રની આંખ ઉઘડે છે ન તો સરકારના પેટનું પાણી હલે છે..મગફળીકાંડ બાદ સામે આવેલા તુવેરકાંડે પણ અધિકારીઓની નિષ્ઠા સામે સવાલ ઉભા કર્યા છે..હજુ મગફળીકાંડના આરોપીને તો તેમના કર્યાની સજા મળી નથી..ત્યાં તો ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓએ સાથે મળીને તુવેરમાં કાંડ કરી નાખ્યો..ત્યારે અહીં સવાલ એ કે શું સરકારની એવી તો કઈ મજબૂરી છે કે અનેક કૌભાંડ થયા પછી પણ તે લાચાર છે? શું કાયદાનો ડર કૌભાંડીઓને સતાવતો નથી? શા માટે કૌભાંડીઓ આટલા બેફામ બન્યા છે? ખેડૂતોના નસીબનું મારી ખાવાની હિંમત આવે છે ક્યાંથી?આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન..