દેશ અને દુનિયામાં મંદીના મૂડ વચ્ચે ડિવિડન્ડ, સરપ્લસ અને આકસ્મિક ભંડોળમાંથી કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના ભારતીય રિઝર્વ બેન્કના નિર્ણયની અત્યારે ચર્ચા છે.જોકે આ નિર્ણય અણધાર્યો નથી.
લાંબા સમયથી આ પ્રશ્ન જાહેર ચર્ચાનો વિષય હતો અને જવાબદાર અધિકારીઓ અને નિષ્ણાતોના મંતવ્ય તેના પર વહેંચાયેલા હતા. આવી સ્થિતિમાં, જ્યારે આરબીઆઈ બોર્ડે બિમલ જાલન સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને આટલી મોટી રકમ સરકારને સોંપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે પ્રશ્નો પણ થાય તે સ્વાભાવિક છે. ખાસ કરીને એ મુદ્દા પર કે રિઝર્વ બેન્કે આ પહેલાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આ પ્રકારનો નિર્ણય લીધો ન હતો.
જો કે, તે જરૂરી નથી કે કોઈ પણ સરકાર અથવા સંસ્થા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હંમેશાં એવા પગલાં ભરે જે ભૂતકાળમાં લેવાયા હોય. એ ત પણ મહત્વની છે કે અત્યારે ફંડ સરકારને આપવાનો નિર્ણય કેટલો જરૂરી છે.
તેના વિકલ્પ પર શું સરકારે ગહન વિચારણા કરી હતી ખરી કે પછી સરકાર પાસે આ ફંડ સિવાય બીજો કોઇ વિકલ્પ જ ન હતો? ચોક્કસપણે અર્થતંત્રના મોરચે આપણે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઘણા ઉદ્યોગોના આંકડા માત્ર મુશ્કેલ પરિસ્થિતિ સૂચવે છે, પરંતુ સરકારની આવક પણ અપેક્ષાઓથી નીચે છે. આવી સ્થિતિમાં હાથ પર હાથ રાકીને બેસી પણ શકે નહીં.
સામાન્ય સંજોગોમાં વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્ર તેની પોતાની રીતે ચાલતું રહે છે. સરકારની રોજબરોજ તેમાં ભુમિકા હોતી નથી.પરંતુ મંદી કે જીડીપીમાં મોટો ખાડો પડતો દેખાય ત્યારે સરકારે સક્રિય રીતે તેમાં હસ્તક્ષેપ કરવો પડે છે.
સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુને વધુ રોકાણ દ્વારા બજારમાં માંગ પેદા કરવા માટે દબાણ હેઠળ છે, ત્યારે હાથમાં ખૂબ મોટુ ભંડોળ હોય તે પણ જરૂરી છે.કેમ કે સરકારે અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા કોઇને કોઇ રીતે બજારમાં મૂડી ઠલવાય તે પણ જોવું પડશે.
આવી સ્થિતિમાં, જો રિઝર્વ બેન્ક પાસે કેટલાક સરપ્લસ ફંડ હોય, તો તેને રાખી મૂકવાના બદલે આ મુશ્કેલ સમયને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ કરવો ખોટું કહેવાય નહીં. આનો અર્થ એ પણ નથી કે સંભવિત જોખમની અવગણવામાં કરવામાં આવે.
આ પહેલીવાર છે જ્યારે કોઈ સમિતિએ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક કન્સિઝન્સી ફંડનું સ્તર ૬.પ.થી પ.પ ટકા રાખવાનું સૂચન કર્યું છે. તે સામાન્ય રીતે આઠ ટકાથી ઉપર રાખવામાં આવે છે. ખાસ વાત એ છે કે રિઝર્વ બેન્ક બોર્ડે આ રેન્જને નીચી મર્યાદામાં લઇ જવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તેને સરકારની નિષ્ફળતા ગણાવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ રિઝર્વ બેન્કના નિર્ણયને યોગ્ય માનતા નથી, તો કેટલાક તેનું સમર્થન પણ કરે છે.
રિઝર્વ બેન્ક સરકારને મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે તેવું નકારી શકાય નહીં, પરંતુ એવું નથી કે આ કામ પહેલીવાર કરવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા આ પહેલા પણ સરકારને ફંડ આપવામાં આવ્યું છે.ફરક માત્ર એટલો છે કે અગાઉ સરકારને ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ આટલી મોટી ન હતી.
આ નિર્ણયના સમર્થકોની દલીલ એવી છેકે રિઝર્વ બેન્કે સમિતિની ભલામણોને સ્વીકારવાનું નક્કી એટલા માટે કર્યું કેમ કે તેની નાણાકીય સ્થિતિ વધુ સારી છે.તેમની દલીલ એવી છે કે ભારત સરકાર જે પૈસા મેળવવા જઈ રહી છે તે દેશના પૈસા છે. જોકે એ વાતમાં કોઇ શંકા નથી કે રિઝર્વ બેન્કે તેની સંપૂર્ણ તિજોરી ખાલી કરવાનો નિર્ણય લીધો છે.
95 હજાર કરોડનો ડિવિડન્ડ મળશે એ ચોક્કસ છે
આરબીઆઈ 2013-14થી તેની ડિસ્પોજેબલ આવક (ખર્ચ કરવા લાયક ફંડ)નાં 99 ટકા ભાગ સરકારને આપતી રહી છે. જ્યાં સુધી ડિવિડન્ડની વાત છે તો 2018-19ને માટે રૂ. 1,23,414 કરોડમાંથી 28,000 કરોડ રૂપિયા માર્ચમાં જ અંતરિમ ડિવિડન્ડ તરીકે સરકારને આપી દેવામાં આવ્યાં છે. ચાલું નાણાંકીય વર્ષ દરમિયાન સરકારને 95,414 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું નક્કી છે. આ 1.76 લાખ કરોડનાં સરપ્લસ ફંડ ઉપરાંત હશે. પરંતુ સવાલ એ છે કે આરબીઆઈ પાસે આટલાં રૂપિયા આખરે ક્યાંથી આવે છે.
RBI પાસે 566 ટન ગોલ્ડ ભંડાર
આરબીઆઈ પાસે બે પ્રકારનાં રિઝર્વ છે, જેમાંથી એક છે મુદ્રા અને બીજું ગોલ્ડ રીવોલ્યુએશન એકાઉન્ટ (CGRA) છે. જેનાથી બેંકની વિદેશી મુદ્રા અને સોનાના ભંડાર વિશે ખ્યાલ આવે છે. આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 566 ટનથી થોડો વધારે છે. વિદેશી હૂંડિયામણનાં ભંડોળ સાથે સોનાનાં ભંડાર બેંકની કુલ સંપત્તિનાં 77 ટકા છે. નાણાંકીય વર્ષ 2016-17ની જો વાત કરીએ તો તે સમયે આરબીઆઈની બેલેન્સ શીટ રૂ. 36.2 લાખ કરોડ હતી.
શું હોય છે આકસ્મિક ભંડોળ?
આકસ્મિકતા ભંડોળ (CF) એ એક વિશેષ જોગવાઇ હોય છે કે જે નાણાંકીય નીતિ અને વિનિમય દર કામગીરીને કારણ અણધારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે થાય છે RBIને કમાણી
આરબીઆઈ સરપ્લસ એ તે રકમ છે કે જેને આરબીઆઈ સરકારમાં ટ્રાન્સફર કરે છે. આરબીઆઈને તેની સિક્યોરિટીઝ પર વ્યાજ મેળવે છે. ગયા વર્ષે આરબીઆઈએ સોનું અને વિદેશી વિનિમય એમ બંને ભંડોળમાં હસ્તક્ષેપ કરી હતી. જેથી આ વખતે બેંક પાસે રેકોર્ડ સરપ્લસ હતું. બેંકે મોટા નફા સાથે ડૉલર વેચ્યાં હતાં અને મની માર્કેટમાં રેકોર્ડ બોન્ડ્સ ખરીદ્યાં કે જેની પર સારું વ્યાજ મેળવવામાં આવ્યું.
ત્રણથી પાંચ વર્ષમાં મળશે પૈસા
સરકારને આ નાણાં આરબીઆઇ પાસેથી ત્રણથી પાંચ વર્ષમાં મળશે. આકસ્મિક ભંડોળ, ચલણ અને ગોલ્ડ રીવૈલ્યુએશન એકાઉન્ટને મિલાવીને આરબીઆઇ પાસે 9.૨ લાખ કરોડનું રિઝર્વ છે. જે કેન્દ્રીય બેંકનાં કુલ બેલેન્સ શીટ સાઇઝનાં 25 ટકા છે.