રાતની ઊંઘ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ ઊંઘ પૂરી ન થાય તો તેની અસર બીજા દિવસ પર ચોક્કસથી પડે છે અને બીજો આખો દિવસ મૂડ વગરનો પસાર થાય છે.
ઘણી વખત રાત્રે પાર્ટનરનાં નસકોરાંથી આપણી ઊંઘ ખરાબ થતી હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલાક એવા ઘરેલૂ ઉપાયો વિશે જેનાથી નસકોરાં બંધ થઈ જશે અને તમે શાંતિપૂર્વક ઊંઘ માણી શકશો.
નસકોરાં કેમ બોલે છે?
ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. એવામાં જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યામાંથી જાય છે ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગે છે, જેથી નાકમાંથી વિચિત્ર અવાજો આવવાના શરૂ થઇ જતા હોય છે, જેને સ્નોરિંગ એટલે કે નસકોરાં કહેવામાં આવે છે. નાકમાં એલર્જી, નાકમાં સોજો, જીભની લંબાઈ વધુ હોવી, અતિશય ધુમ્રપાન અથવા માદક દ્રવ્યોનું સેવન વગેરેને કારણે નસકોરા બોલવાના પાછળના કારણો હોઇ શકે છે.
નસકોરાં બંધ કરવાના ઘરેલૂ ઉપાય:
- નસકોરાં ઓછા કરવા અથવા તો બંધ કરવા માટે ફુદીનો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ ઊંઘતા પહેલાં ફુદીનાના તેલનાં કેટલાંક ટીપાં નાકમાં નાખીને ઊંડો શ્વાસ લો. તેનાથી નાકનાં છિદ્રોમાં આવેલો સોજો ઓછો થઇ જશે અને તમે સરળતાથી શ્વાસ લઈ શકશો. તમે ઈચ્છો તો નાકની આજુબાજુ ફુદીનાનું તેલ લગાવીને પણ સૂઈ શકો છો, આમ કરવાથી પણ નસકોરાં બોલવાનાં બંધ થઈ જશે.
- ઓલિવ ઓઇલમાં ઘણાં એવાં તત્વો હાજર છે, જેનાથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે. જે વ્યક્તિને નસકોરાં બોલતાં હોય તેમણે રાત્રે સૂતી વખતે ઓલિવ ઓઇલમાં મધ મિક્સ કરીને ખાઇ લો આમ કરવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે. તમે ઈચ્છો તો દરરોજ રાત્રે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પણ પી શકો છો.
- ઘી નસકોરાં રોકવા માટે અસરકારક ઉપાય છે. દરરોજ રાત્રે ઊંઘતાં પહેલાં હળવા ગરમ કરેલા ઘીનાં 1-2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી શ્વસનક્રિયા સરળ થઇ જશે. આ સિવાય રાત્રે હળદરવાળું દૂધ પીવાથી પણ નસકોરા બોલવાનાં બંધ થઈ જશે.
- એલચી અથવા તેનો પાવડર પણ નસકોરાંની સમસ્યા દૂર કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સૂવાના સમય પહેલાં ગરમ પાણીમાં એલચી અથવા તેનો પાવડર નાખીને તે પાણી પીઓ. આ ઉપાયથી નસકોરાંની સમસ્યા દૂર થઈ શકે છે.
- લસણ પણ તમને સારી અને આરામદાયક ઊંઘ મેળવવામાં મદદ કરે છે. લસણમાં દર્દ મટાડવાનો ગુણ રહેલો છે. લસણ બ્લોકેજ સાફ કરવાની સાથે શ્વાસ લેવામાં પણ મદદ કરે છે. નસકોરાં રોકવા માટે લસણની 2-4 કળીઓ લો અને તેને સરસિયાના તેલમાં નાખી હળવું ગરમ કરો. પછી ઊંઘતાં પહેલાં આ તેલથી છાતી પર માલિશ કરો.
- ગળા અથવા શ્વસન માર્ગમાં આવેલા સોજાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, જેના કારણે નાકમાંથી વિચિત્ર અવાજો આવે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઊંઘતાં પહેલાં ગરમ પાણીના કોગળા કરો, જેથી સોજો ઊતરી જશે અને નસકોરાંની સમસ્યામાં રાહત મળી જશે.
- શરીરમાં પાણીની અછત હોવાથી પણ નસકોરાંની સમસ્યા ઉભી થાય છે. જ્યારે શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો થાય છે, ત્યારે શ્વાસનળીથી નાક તરફ જતા માર્ગમાં રહેલો ભેજ સુકાઈ જતો હોય છે. આવી પરિસ્થિતિમાં સાઇનસ હવાની ગતિને શ્વસનતંત્ર સુધી પહોંચવામાં સહકાર આપી શકતું નથી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી નસકોરાંની સમસ્યાથી છુટકારો મેળવવા દિવસભર પુષ્કળ પાણી પીધા કરો.