ફ્રી હિટ પર લેવાયેલા ત્રણ રન નિયમ મુજબ અને તે બાઇ છે. અમ્પાયરે જે પણ નિર્ણય લીધો તે ખોટો નથી: સિમોન ટૉફેલ
T20 વર્લ્ડ કપ 2022 ભારતની જીત બાદ મેચમાં મોટો વિવાદ
ફ્રી હિટ પર બોલ્ડ થયેલા કોહલીએ ત્રણ રન કઈ રીતે લીધા
દિગ્ગજ અમ્પાયરે પાકિસ્તાનીઓની બોલતી કરી બંધ
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં જોરદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું, મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં વિરાટ કોહલીએ અણનમ રહીને મેચ જીતી લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ મેચમાં એક મોટો વિવાદ પણ થયો હતો, જેની ચર્ચા હજુ પણ થઈ રહી છે. આ નોબોલ અને ફ્રી હિટ વિવાદ છે. જ્યારે ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ત્યારબાદ સ્પિનર મોહમ્મદ નવાઝે કોહલીની સામે ફુલ ટોસ બોલ ફેંક્યો, જેને અમ્પાયરે કમરથી ઉપરનો નો-બોલ કહ્યો.
અહીં પાકિસ્તાની ચાહકોનું માનવું છે કે, તે નો-બોલ નહોતો. એક છે આ વિવાદ. આ પછી મળેલી ફ્રી હિટને લઈને બીજો વિવાદ થયો. આના પર કોહલી ક્લીન બોલ્ડ થયો હતો, પરંતુ બોલ બાઉન્ડ્રી તરફ ગયો હતો. આના પર કોહલી દોડ્યો અને ત્રણ રન બનાવ્યા. અમ્પાયરે તેને બાઇ ગણી હતી, જ્યારે પાકિસ્તાની સમર્થકો તેને નિયમો વિરુદ્ધ રન માને છે. આના પર પણ ઘણો વિવાદ છે. પરંતુ હવે આ બાઇના રન વિવાદ પર 5 વખતના અમ્પાયર ઓફ ધ યર રહેલા સિમોન ટૉફેલે પાકિસ્તાની સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો છે.
5 વખતના અમ્પાયર ઓફ ધ યર રહેલા સિમોન ટૉફેલે જણાવ્યું હતું કે, ફ્રી હિટ પર લેવાયેલા ત્રણ રન નિયમ મુજબ છે. તે બાઇ છે. અમ્પાયરે જે પણ નિર્ણય લીધો તે ખોટો નથી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન અમ્પાયર ટોફેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ પછી, મોટાભાગના લોકોએ મને ફ્રી હિટ પર કોહલીને આઉટ કરવા અને પછી રન લેવાનો ખુલાસો કરવા કહ્યું. આ બાબતનો ખુલાસો કર્યા પછી, ટૉફેલે અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.