લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર મનોમંથનનો દોર ચાલી રહ્યો છે. સૌથી વધુ ચર્ચા અમેઠીમાં રાહુલ ગાંધીના હારની છે.
રાહુલ ગાંધીની હારના કારણો વિશે કોંગ્રેસની બે સભ્યોની સમિતિએ બતાવ્યું કે સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીનો સહયોગ ન મળવો તેમની હારનું મોટુ કારણ છે.
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં તેમના પ્રતિનિધિ કોંગ્રેસ સચિવ જુબેર ખાન અને કે.એલ.શર્માએ સ્પષ્ટપણે જણાવ્યું કે સપા અને બસપાના અમેઠી એકમે કોંગ્રેસને સપોર્ટ નહોતો કર્યો, તેથી તેમનો એક મોટા વર્ગના મત ભાજપામાં જતા રહ્યા. અન્ય એક સ્થાનીય નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીને 2014ની ચૂંટણીમાં (4.08 લાખ વોટ ) થી વધુ વોટ 2019(4.13 લાખ વોટ) મળ્યા હતા.
જ્યારે બસપા ઉમેદવારને 75716 વોટ મળ્યા હતા. જો આ વોટ કોંગ્રેસને મળ્યા હોત તો કોંગ્રેસ જીતી શકી હોત. આપને જણાવીએ કે આ વખતે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને 55000 વોટથી હરાવ્યા હતા. અમેઠીના જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પણ આ આરોપનું સમર્થન કર્યું. યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, સપાના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના પુત્ર અનિલ પ્રજાપતિ ખુલીને સ્મૃતિ ઇરાનીના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા.