તાજેતરમાં શહેરની પ્રતિષ્ઠિત હોટલ અને રેસ્ટોરાંની વાનગીમાં વંદો, મંકોડો, જીવાત વગેરે નીકળતા કહેવાતી હાઇફાઇ હોટલ અને રેસ્ટોરાંના કહેવાતા હાઇજેનિક ફૂડની લોકોમાં ભારે ટીકા થઇ હતી. મોટા ભાગની હોટલ અને રેસ્ટોરાંના કિચન ગંધાતા હોવાની વારંવાર ફરિયાદો ઊઠતી રહી છે. જેની રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવાઇને કોઇ પણ ગ્રાહક હોટલનું કિચન જોઇ ઓર્ડર આપી શકે તે માટે ખાસ પરિપત્ર બહાર પડાયો છે.
આરોગ્ય ભવનના ફૂડ વિભાગમાં નાગરિક અરજી કરી શકે છે, આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના કોમ્પ્રીહેન્સીવ કમ્પ્લેઇન રીડ્રેસલ સિસ્ટમ (સીપીઆરએસ)હેઠળના ટોલ ફ્રી નં. ૧પપ૩૦૩, ઇમેલ : [email protected] તેમજ ટ્વીટર હેન્ડલ AMC complaints હેઠળ (@)AMC-complaints પર ફરીયાદ કરી શકે છે. મ્યુનિ. કમિશનર વિજય નહેરાને સીધી ઇમેલ મોકલાવીને પણ ફરીયાદ કરી શકાય છે તેમનો ઇમેલ આઇડી [email protected] છે.
અમદાવાદમાં નાની મોટી મળી કુલ ૧૦ હજારથી વધુ હોટલ અને રેસ્ટોરાં છે. મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા આજથી હોટલ અને રેસ્ટોરાંનું ચેકિંગ હાથ ધરાશે અને કિચન બહાર લગાવાયેલા નો એન્ટ્રીના બોર્ડ હટાવી દેવાશે. આ ઉપરાંત ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મુકવાની સૂચના અપાશે.
મ્યુનિસિપલ ફૂડ વિભાગનો હવાલો સંભાળતા તંત્રના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. ભાવિન જોશી કહે છે આરોગ્ય ભવનની મારી ઓફિસમાં નાગરિક રૂબરૂરમાં અરજી આપી ફરિયાદ કરી શકશે. બે અઠવાડિયા નવા ફેરફારના અમલ માટે રાજ્ય સરકારે હોટલ અને રેસ્ટોરાં માલિકોને બે અઠવાડિયાનો સમય આપ્યો હોય અત્યારે એક લાખની પેનલ્ટી નહીં લેવાય.