ગુજરાતનું પ્રખ્યાત એવું પ્રવાસન સ્થળ ગીરને ફરી એક વખત ધમધમતું કરવા માટે સાસણ ગીર હોટલ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
અનલૉકની શરૂઆત બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પ.બંગાળ જેવા રાજ્યમાં દેશના મહત્વના પાર્ક અને અભ્યારણ ખોલી દેવાયા છે ત્યારે સાસણ ગીર સફારી અને દેવળિયા પાર્ક ખોલવાની પણ માંગ ઉઠી છે. મધ્ય પ્રદેશ મહામારીને ધ્યાનમાં રાખીને એક યુનિક કન્સેપ્ટ સાથે અભ્યારણ ખોલ્યું છે ત્યારે તેના આધારે જ ગીરમાં પણ કંઈક એવી રીતે જ તંત્ર શરૂઆત કરે તેવી હોટલ એસોસિએશન વિનંતી કરી રહ્યું છે.
સરકાર દ્વારા હજુ સાસણ ગીર સફારી અને દેવળિયા સફારી પાર્ક ખોલાયા નથી જેના કારણે ગુજરાતનો આ વિસ્તાર જે 365 દિવસ ધમધમતો હોય છે ત્યાં આજે કોઈ ફરકતું નથી. આવામાં સાસણ ગીર હોટલ એસોસિએશન તરફથી સરકારને આ બાબતે પત્ર લખી તાત્કાલિક દેવળિયા સફારી અને સાસણ ગીર અભ્યારણ ખોલવાની વિનંતી કરાઈ છે. હોટલ ઉદ્યોગ સહિત અહીં પ્રવાસન ક્ષેત્ર પર નભતી પ્રજાની પણ હાલત કફોડી બની રહી છે તેવો દાવો કરાયો છે.
હોટલ એસોસિએશને સરકારને સાસણગીર સફારી ખોલવાની વિનંતી કરી
સાસણ ગીર હોટેલ એસોસિએશને વન વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવાને પત્ર લખીને લોકડાઉનને પગલે સાસણગીર સફારી પ્રવાસીઓ માટે બંધ હોવાથી તેઓને કેટલું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે તેની વ્યથા ઠાલવી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે શહેરી વિસ્તારો કરતા વન્ય વિસ્તારોમાં આવેલી હોટેલ્સને વિશેષ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે હવે આ નુકસાનની અમુક અંશે ભરપાઈ કરવા માટે ગીર અભ્યારણ અને દેવળિયા પાર્ક ખોલવાની વિનંતી કરાઈ છે.
ગીર વિસ્તારમાં 75-80% વસ્તી પ્રવાસન ક્ષેત્ર ઉપર નભે છે: હોટેલ એસોસિએશનનો દાવો
મહત્વનું છે કે એસોસિએશ દ્વારા આ પત્ર વનમંત્રી ગણપતભાઈ વસાવા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને વન અને પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને મોકલવામાં આવ્યો હતો. પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્ર પર નભતા સ્થાનિકોની પણ હાલત કફોડી બની રહી છે. તેમણે જણાવ્યું છે કે ગીર વિસ્તારમાં ઉદ્યોગો ઉપર પ્રતિબંધ હોવાથી અહીંની 75-80% વસ્તી પ્રવાસન ક્ષેત્ર ઉપર નભે છે.
અહીં બે પાર્ક આવેલા છે. ગીર દેવળિયા સફારી 365 દિવસ ખુલ્લું રહે છે જયારે સાસણ ગીર અભ્યારણ સિંહોના સંવનન કાળ, વસ્તી ગણતરી જેવા વિશિષ્ટ સમય સિવાય પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે. આ બંને પાર્ક 17 માર્ચથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવતા અહીંની હોટેલો ગ્રાહકો વગરની થઇ ગઈ છે.
તેમણે દાવો કર્યો છે કે અહીં 180 ગાઇડ્સ, 150 ડ્રાઈવરો, 250 જીપ્સી નાના મોટા દુકાનવાળાઓ, રેસ્ટોરન્ટના માલિકો કર્મચારીઓ વગેરે થઈને આશરે 20,000 લોકો મુસીબતમાં ફસાયા છે. તેમણે કહ્યું હતું કે દર વર્ષે અહીં 4.5 લાખ જેટલા પ્રવાસીઓ સાસણની મુલાકાત લેવા આવે છે. એવામાં પાર્ક આટલો સમય બંધ રહેતા અંદાજે 7 કરોડ રૂપિયાનું નુકશાન સહન પડ્યું છે.
આ રીતે ગીરને ખોલી શકાય જેથી નુકસાન નહીં થાય : એસોસિએશન
આમ હોટેલ એસોસિએશને ગુજરાત સરકાર પાસેથી માંગ કરી હતી કે ગીર દેવળિયા પાર્કને તાત્કાલિક ખુલ્લો મુકવામાં આવે જેની સાથે હોટેલ્સ, રિસોર્ટ્સ અને પાર્ક્સ પણ ખુલ્લા મૂકી શકાય. આ ઉપરાંત તેમણે એવી પણ માંગ કરી છે કે હાલ સાસણ ગીર અભ્યારણ બંધ છે જેને 1 ઓક્ટોબરથી ખુલ્લું મુકવામાં આવે અને તેનું ઓનલાઈન બુકીંગ હાલથી જ ચાલુ કરી દેવામાં આવે. આ માટે તેમણે બીજા અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જેના ઓનલાઇન બુકિંગ ખુલી ગયા છે તેમની વેબસાઈટનો સ્ક્રીન શોટ પત્રમાં રાખ્યો હતો.
મધ્યપ્રદેશમાં ટુરિઝમને ટ્રેક પર લાવવા યુનિક કૉન્સેપ્ટ બનાવાયો
ગુજરાત જેમ સિંહ માટે પ્રખ્યાત છે તેમ મધ્યપ્રદેશ રાષ્ટ્રીય પ્રાણી વાઘ માટે જાણીતું છે. ત્યારે મધ્યપ્રદેશ સરકારે પ્રવાસન ક્ષેત્રને ફરી ટ્રેક પર લાવવા માટે 'બફર ઈન સફર' કેમ્પેન શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝન વાઘ અન સિંહોનો સંવનન કાળ હોય છે જેથી અભ્યારણ બંધ રહેતા હોય છે. આવામાં મધ્યપ્રદેશ સરકારે મહામારીમાં નુકસાનમાં ગયેલા પ્રવાસન ઉદ્યોગને રિકવરી અપાવવા માટે ખાસ આ કેમ્પેન હેઠળ પાર્ક શરૂ કર્યા છે. જેમાં મુલાકાતીઓ પાર્કની અંદર નહીં પરંતુ તેની બોર્ડર પર ફરતે ફરી શકશે જેથી પ્રાણીઓને પણ કોઈ જાતની ખલેલ ન પહોંચે. જ્યારે બીજી બાજુ બર્ડ વૉચિંગ અને અન્ય પ્રવૃત્તિઓ ટુરિસ્ટને આકર્ષવા માટે શરૂ કરી દેવાઈ છે. જેના પગલે હોટલ્સ અને રિસોર્ટને થોડા ઘણાં ટુરિસ્ટ મળી જશે અને નુકસાનનો ભાર હળવો થશે.
દેશમાં અનલોક પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પ્રવાસન ક્ષેત્રને ખોલવું જરૂરી
સાસણ ગીર હોટલ્સ એસોસિએશનનો દાવો છે કે જેમ દેશમાં અનલોક ચાલી રહ્યું છે અને તે અંતર્ગત ગીરમાં પણ પ્રવાસીઓને પ્રવેશની છૂટ આપવામાં આવે. તેમણે પત્રમાં લખ્યું છે કે દેશના વિવિધ સેક્ટર કોરોનાથી અસરગ્રસ્ત છે જેમાં સૌથી મરણતોલ ફટકો હોસ્પિટાલીટી ક્ષેત્રને પડ્યો છે. એવામાં દેશમાં પ્રવાસન ક્ષેત્રને ખોલવાથી હોટેલ ઉદ્યોગને ફાયદો થઇ શકે છે. વળી દેશમાં અલગ અલગ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખુલી ગયા છે જેની યાદી આ પત્રમાં આપવામાં આવી છે.
દેશના અન્ય અભ્યારણ અને પાર્ક ખૂલી ગયા તો ગીર કેમ નહીં?
તેમણે પત્રમાં લખ્યું છે કે દેશમાં વિવિધ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા કે રણથંભોર, બાંદીપોર, સુંદરવન, કાન્હા, સાપુતારા વગેરે જેવા મોટા મોટા અભ્યારણોને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકી દેવાયા છે તે ગીરને શા માટે તેમાંથી બાકાત રાખવામાં આવે?
નોંધનીય છે કે સાસણગીર અભ્યારણમાં એક દિવસની 150 સફારી કરાવવામાં આવે છે અને એક સફારીની 3000 રૂપિયા કિંમત હોય છે. આ જ પ્રમાણે ગીર દેવળિયા પાર્કમાં એક દિવસની 70 સફારી કરાવવામાં આવે છે અને એક સફારીની કિંમત 2800 રૂપિયા હોય છે.
સાસણ ગીર હોટેલ એસોસિએશનની આ વિનંતી બાદ સરકાર શું પગલાં ભરે છે તેની ઉપર સૌની નજર છે.