સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અમાનવીય ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલની બહાર દર્દીના મૃતદેહને રઝળતો મૂકી દેવામાં આવ્યો. આ મામલે પરિજનોનો આરોપ છે કે બિલ ભરવા બાબતે આવું કૃત્ય કરવામાં આવ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં મરી પરવારી માનવતા
મૃત કોરોના દર્દીને રસ્તા પર મૂક્યો
પરિજનો અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે ઘર્ષણ
હોસ્પિટલે હદ વટાવી, મૃતદેહને રસ્તે મૂકી દીધો!
ગુજરાત કોરોના વાયરસના કહેરને સહન કરી રહ્યું છે, લોકો મરી રહ્યા છે અને વ્યવસ્થા તંત્ર દમ તોડી રહ્યું છે ત્યારે હવે માનવતા પણ મરી પરવારી હોય તેવી ઘટનાઑ રાજ્યમાંથી સામે આવી રહી છે. મહામારીની વચ્ચે માનવો જ માનવી હોવાનું ભૂલી જતાં હોય તેવું સામે આવી રહ્યું છે. સુરતની એક હોસ્પિટલ દ્વારા એવું અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે કે જેણે પણ આ ઘટના વિશે સાંભળી તેનું હૈયું કકળી ઉઠ્યું.
માનવતા જેવું કંઈ બચ્યું છે?
સુરતની એક ખાનગી હોસ્પિટલ માનવતા ભૂલીને દર્દીઓને બેફામ લૂંટયા અને તે બાદ હદ વટાવી નાંખી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે જ્યાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો.
આટલી હદે નિષ્ઠુર કેમ બન્યા?
પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલે આ અમાનવીય કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલે મૃતદેહ રસ્તા પર મૂકી દીધો અને તે બાદ હોસ્પિટલમાં પણ તાળું મારી દેવામાં આવ્યું છે. આ ઘટના માટે પરિવારજનોએ ગંભીર આરોપો લગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
હોસ્પિટલે બિલ ભરાવા બાબતે આ કૃત્ય કર્યું: પરિજન
મૃતક દર્દીના પિતાએ જણાવ્યું કે પુત્રને બે દિવસ પહેલા જ તાવ આવ્યો હતો અને તે બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. તે બાદ એકસ-રે અને દવાઓના નામે પિતા પાસેથી પૈસા ઉઘરવવામાં આવ્યા પણ દીકરાને બચાવી ન શકાયો. પરિજનોએ કહ્યું કે દર્દીની મોત બાદ તેના શબને રસ્તા પર મૂકી દેવામાં આવ્યો અને હોસ્પિટલને તાળાં મારી દેવામાં આવ્યા. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી છે.