બનાસકાંઠાના રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.
કાંકરેજના થરા- રાણકપુર નજીક ગમખ્વાર અકસ્માત
ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ
કારસવાર તમામ 4 મૃતકો ઉણ ગામના હોવાનું અનુમાન
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના રાણપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.
ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.
અકસ્માતમાં 4 લોકોના મોત
અકસ્માતના બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કુલ ચાર લોકોના આ અકસ્માતમાં કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.