તાજેતરમાં વડા પ્રધાન મોદીએ લેહ પર અણધારી મુલાકાત લઇને ભારતના જવાનોનું માત્ર જોશ જ વધાર્યું નહોતું, પરંતુ ચીનને પણ જડબાતોડ સંદેશ આપીને તેના વિસ્તારવાદી મનસુબા પર કડક પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ ચીનનાં પાખંડ પર જણાવ્યું હતું કે ભારત તેની અતિક્રમણકારી હરકતોનો સજ્જડ જવાબ આપશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદના લેહના નિમૂની મુલાકાત લઇને એક તરફ ચીનને ચોંકાવ્યું હતું તો બીજી તરફ આપણી સરહદની સુરક્ષા કરતા બહાદુર જવાનોની વીરતાને વખાણીને એમને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આખું લદ્દાખ ભારતનું છે અને રહેશે. ભારતના બહાદુર જવાનોએ તાજેતરમાં જ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે જડબાંતોડ જવાબ આપશે. તેઓ ભૂમિદળ, હવાઇદળના સૈનિકો તેમજ ઇન્ડો-તિબેટ પોલીસ ફોર્સના જવાનો તથા તાજેતરમાં ચીન સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકોને મળ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, વિસ્તારવાદનો યુગ હવે થયો સમાપ્ત
મોદીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે વિસ્તારવાદનો યુગ હવે સમાપ્ત થયો છે. હવે વિકાસવાદ જ ભાવિ પ્રગતિનો આધાર છે અને અમે દેશને સંપૂર્ણપણે સ્વાવલંબી બનાવીને રહીશું. મોદીએ ચીનને આ પ્રકારનો આક્રમક સંદેશ આપીને યોગ્ય જ કર્યું છે. કારણ કે ચીન મૂળભૂત રીતે વિસ્તારવાદી માનસિકતા જ ધરાવે છે. ચીનનો ઇરાદો હોંગકોંગથી લઇને હિમાલય સુધી પોતાની સરહદનું વિસ્તરણ કરવાનો છે. આ માટે ચીને હોંગકોંગમાં તો રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો પણ બદલી નાખ્યા છે. ચીને દુનિયાભરના વિરોધની કે હોંગકોંગમાં ચાલી રહેલાં લોકતંત્ર સમર્થક આંદોલનની પણ દરકાર કરી નથી. ચીને તમામ દબાણ હોવા છતાં તાઇવાનને વિશ્વ આરોગ્ય સંઘ દ્વારા આયોજિત વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીમાં સામેલ થવા દીધું નહોતું.
ચીને ફિલિપિન્સ અને વિયેતનમાંમાં પણ ખોલ્યો મોરચો
ચીનેે દિક્ષણ ચીન સાગરમાં ફિલિપિન્સ અને વિયેતનામ સામે પણ મોરચો ખોલી દીધો છે. તેની નજર ભૂતાન પર છે અને એવું કહેવાય છે કે ડોકલામના એક મોટા ભાગનો તેણે ફરીથી કબજો કરી લીધો છે. મોદીએ ચીનને વિસ્તારવાદી ગણાવીને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ભારતમાં તેની વિસ્તારવાદી વૃત્તિનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
મોદીના નિવેદનથી ચીનને પણ મરચાં લાગે તે સ્વાભાવિક છે અને તેણે જવાબ આપતાં ફરી એક વાર ખોટો દાવો કર્યો છે કે તે વિસ્તારવાદી નથી. ચીનના વિસ્તારવાદી ઇરાદાની પોલ ખોલનારા પીએમ મોદીના સ્પષ્ટ નિવેદન પર ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વિસ્તારવાદની વૃત્તિ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. ખરેખર તેનું આ નિવેદન માત્ર હાસ્યાસ્પદ જ નહીં, પરંતુ દુનિયાની આંખમાં ધૂળ નાખવા સમાન છે.
ભારત શાંતિપ્રિય દેશ છે અને ઉશ્કેરણી વિના એ ક્યારેય કોઈના પર હુમલો કરતું નથી. ભારતે ક્યારેય વિસ્તારવાદ નથી અપનાવ્યો, પરંતુ એને છંછેડનારને જડબાંતોડ જવાબ આપ્યો છે અને એમાં પણ હવે જરાય પાછીપાની નથી કરવાનું. ગલવાન ખીણમાં ભારતે ૨૦ જાંબાજ સૈનિકો ગુમાવ્યા, પણ ડોક્લામ પછી હવે ગલવાન ખીણની લપડાક ચીનને હજમ નથી થઈ રહી એટલે ભારત પર આક્રમણ કરવાના કે આક્રમણ કરવાની ભારતને ફરજ પાડવાના મૂડમાં છે.
આમ બીજા દેશોની જમીન હડપ કરી જવી અને પછી છળ-છદ્મથી તેના પર કબજો જમાવી દેવો એ ચીનની જૂની આદત છે. ચીન એક ભૂમિખોર છે અને તેની આ ભૂમિખોરીની આદતથી માત્ર ભારત જ નહીં અન્ય પડોશી દેશો પણ ત્રસ્ત છે. હવે તો સમગ્ર દુનિયાને પણ ખબર પડી ગઇ છે કે ચીન કઇ રીતે પડોશી દેશોની જમીનને ચાઉં કરી જવાની નિર્લજ્જ કોશિશ કરે છે. ડ્રેગનનો કોઇ દિવસ ભરોસો કરાય નહીં. ભારત તો હવે તેના પર બિલકુલ ભરોસો કરી શકે નહીં, કારણ કે ગલવાન ઘાટીમાં તેણે જે કાંઇ કર્યું છે તે ભારતે તેના
પર મૂકેલા વિશ્વાસનું ઠંડે કલેજે કરવામાં આવેલ ખૂન છે.