ઈમાનદારી....આ શબ્દની વ્યાખ્યા કરવી હોય તો શું કરીએ...? મફતનું મળ્યું છતાં એ છોડી દીધું. જાત મહેનત કરી બધું મેળવ્યું. જૂનાગઢના એક ચાની લારી ચલાવતા વ્યક્તિએ એટલી ઈમાનદારી બતાવી કે પોલીસ પણ તેની આ ઈમાનદારીને જોઈ ચોંકી ગઈ. ભ્રષ્ટાચારીઓએ આમની પાસેથી કંઇક શિખવું જોઇએ.
પૈસા જોઈને પણ ન ડગ્યું મન
હજારો રૂપિયા છતાં ઈમાનદારી ન ડગી
"ચા-વેચવી ધર્મ છે મારો..ઈમાનદારી સ્વાભિમાન"
ચા વાળા પ્રવિણભાઈ ટાંકોલીયા છે. તેઓ ચાની લારીથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રવિણભાઈ પોતાનું કામ પતાવી પોતાના ઘરે જઈ રહ્યા હતા કે તેમને અચાનક રસ્તામાં એક બેગ મળી આવે હતી. જેમાં એક-બે હજાર નહીં પરંતુ 18 હજાર રૂપિયા હતા સાથે મોંઘો મોબાઈલ પણ હતો. રોજના 400-500 રૂપિયા કમાનાર વ્યક્તિને અચાનક આટલા રૂપિયા મળી જાય તો? કોઈપણ વ્યક્તિનું મન ડગી જાય, કોઈપણને લાલચ જાગે, ભલભલાને તે રૂપિયા મેળવવાની ઈચ્છા જાગે અને મનમાં એવું પણ થાય કે, મારે શું ? આખો મહિનો કામ કરીશ તો પણ આટલા નહીં કમાઈ શકું. પરંતુ અહીં પ્રવિણભાઈને તે મંજૂર નહોતું. તેઓ તાત્કાલિક તે પૈસા લઈ સી.ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
એક નાનકડો વ્યક્તિ આ રીતે હજારો રૂપિયા આપવા માટે આવે તો સ્વાભાવિક છે કે, સૌકોઈ નવાઈ લાગે. આવું જ કાંઈક જૂનાગઢના પોલીસ સ્ટેશનમાં બન્યું હતું. પ્રવિણભાઈની ઈમાનદારીને જોતા PSI ચોંકી ઉઠ્યા હતા. જોકે ત્યારબાદ તેમણે મોબાઈલ નિકાળી જે વ્યક્તિનો ફોન હતો તેમનો કોન્ટેક્ટ કર્યો હતો. તો જાણવા મળ્યું કે, આ ફોન અને પૈસા અમીન ટ્રાન્સપોર્ટ એજન્સીના છે. એક મહિલા તે લઈને જઈ રહી હતી. ત્યારે સ્કૂટીમાંથી પડી ગયા હતા. જે બાદ પોલીસે મહિલાને અને તેના પરિવારને બોલાવ્યા ખરાઈ કરી અને તેમને તેમના પૈસા પરત આપ્યા હતા. સાથે-સાથે પ્રવિણભાઈને બિરદાવતા તેમની ઈમાનદારી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
મહત્વનું છે કે, આજે દેશમાં અને રાજ્યમાં જ્યાં પણ જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. લોકો કોઈના પાંચ રૂપિયા પણ નથી છોડતા. ત્યાં પ્રવિણભાઈએ 18 હજાર રૂપિયા અને 15 હજાર રૂપિયાનો મોબાઈલ તેના માલિક સુધી પહોંચાડ્યો છે. તે દર્શાવે છે કે, તેઓ કેટલા ઈમાનદાર છે. તેમનો પરિવાર કેટલો ઈમાનદાર હશે. વીટીવી આજે પ્રવિણભાઈને લાખ સલામ કરે છે.