ખેડા જિલ્લામાં ખબકેલા ભારે વરસાદને લઈને 3000 જેટલી વસ્તી ધરાવતા અભરીપુર ગામમાં કેડ સમા પાણી ભરાયા હતા.
ખેડાના અભરીપુર ગામમાં કેડ સમા પાણી ભરાયા
ગત મોડી રાત્રે ભારે વરસાદ પડતા ભરાયા પાણી
અવર-જવર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે
હવામાન વિભાગની આગાહીને પગલે આજે ખેડા જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.તોફાની મેઘમહેરને લઈને ખેડાના અભરીપુર ગામમાં ગત મોડી રાત્રે મકાન, મંદિરો, દુકાન અને ખેતરોમાં કેડ સમા પાણી ભરાતા હતા જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. મહત્વનું છે કે, અભરીપુરમાં આશરે 3 હજાર જેટલી વસ્તી વસાવાટ કરે છે ત્યારે પાણી ભરાવાના કારણે ઘાસચારા, દૂધ અને અન્ય વસ્તુઓની ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વધુમાં ખેતરો, મકાનો અને દુકાનોમાં પાણી ભરાવાથી આર્થિક નુકસાન થયું છે. અવર-જવર માટે લોકોને ટ્રેક્ટરની મદદ લેવાની નોબત આવી હતી.
મકાન, મંદિરો, દુકાન અને ખેતરોમાં ભરાયા પાણી
ખેડા જિલ્લામાં આજે મેઘમહેર સાથે મુશ્કેલી વરષી હતી. જેમાં મેઘરાજાએ ગતરાતથી તોફાની બેટિગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગળાડૂબ બન્યા હતા. જેમાં અભ્રીપુર ગામના લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગામમાં ઠેર-ઠેર કેડ સમા પાણી ભરાયા હતા. તળાવ અને ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. નોંધનીય છે કે આ ગામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે માથું ઊંચકે છે. આથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની પડી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. જેને લઇને ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.