ચોમાસામાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે. જેનાથી બચવા માટે પહેલાં જ કેટલાક ઘરેલૂ ઉપાય કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ચાલો જાણી લો તેના વિશે.
ચોમાસામાં બીમાર પડવાની શક્યતા વધી જાય છે
દૂધમાં સૂઠ અને પીપરીમૂળ નાખીને પીવાથી શરીરને તાકાત મળે છે
ચોમાસામાં ઘરેલૂ ઉપાયો કરવાથી શરદી ખાંસી નહીં થાય
ચોમાસામાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. આ રોગોથી બચવું હોય તો શું ધ્યાનમાં રાખવું એ જાણી લો.
શું ખાવું?
રોજ સવારે એક ગ્લાસ દૂધમાં પા ચમચી સૂંઠ અને ચપટી પીપરીમૂળ નાખીને ઉકાળવું. આ દૂધથી શરીરમાં તાકાત પણ રહે છે અને શરદી-ખાંસીથી બચી પણ શકાય છે.
ચોમાસામાં વાયુના રોગોથી બચવા સૂકી મેથી, મરી, અજમો, હિંગ અને જીરુંનો ઉપયોગ કરવો.
ચોમાસામાં પાણીમાં જંતુઓ અને બૅક્ટેરિયાને કારણે રોગોનો ફેલાવો થાય છે. એવા સમયે ઘરમાં પણ સાદું પાણી પીવાનું ટાળવું. બને ત્યાં સુધી પાણી ઉકાળીને ઠારીને પીવું.
જમવાનું બનાવવા માટે ગરમ કરીને ઠારેલું પાણી જ વાપરવું. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચટણી અને શરબત જેવી વાનગીઓમાં ઉકાળેલું પાણી વાપરવું.
આ સીઝનમાં બાફેલાં શાકભાજી અને દાળમાંથી બનાવેલાં સૂપ શ્રેષ્ઠ ગણાય છે. સૂપથી પેટ પણ ભરાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે.
બે ગ્લાસ પાણી એક તપેલીમાં લેવું. એમાં તુલસીનાં ચાર-પાંચ પાન અને બે-ત્રણ ડાળખી ફુદીનો વાટીને નાખવો. 2 ચમચી ગ્રીન ટી અને આદુંનો નાનો ટુકડો વાટીને નાખવો. આ પાણીને ઉકાળવું. એક ગ્લાસ જેટલું પાણી રહે એટલે એમાં અડધું લીંબુ નિચોવીને પીવું. આ ઉકાળો રોજ સવારે નિયમિત પીવાથી શરદી-ખાંસી, તાવ અને શ્વસનતંત્રના રોગોનું નિવારણ થાય છે.
ચોમાસામાં મકાઈ ખાવાથી પણ હેલ્થને ફાયદા મળે છે. એમાં કેલરી પણ ઓછી હોવાથી વજન વધવાની ચિંતા રહેતી નથી. લીંબુનો રસ મકાઈના પાચનમાં મદદ કરે છે.