હવે શિયાળાની ઋતુ ધીમા પગલે આવી રહી છે. હાલમાં ચોમાસું પૂર્ણતાના આરે છે ત્યારે બપોરના સમયે સખત તાપ લાગે છે. ઋતુના આ સંધિકાળમાં વાઈરસે પણ માથું ઊંચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને થતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર આપણા રસોડામાં જ છે.
આ રીતે મટાડો શરદી ખાંસી
શરદી ખાંસીનો ડૉક્ટર રસોડામાં
ગળાનુ ઇન્ફેક્શન અળસી દુર કરે
આદું: આદુંમાં એવાં કેમિકલ્સ રહેલાં છે, જે શરદી-ખાંસી ઉપર જબરદસ્ત અસરથી કામ કરે છે. ઊકળતા પાણીમાં થોડું તાજું આદું છીણીને નાખી તેની ગરમ વરાળનો નાશ લેવાથી શરદીમાં રાહત મળે છે. જો ખાંસી અને કફ હોય તો આદું-તુલસીની ચા પણ પી શકાય છે.
લસણ: થોડા પાણીમાં લસણની ચાર-પાંચ કળી નાખીને તેને ઉકાળીને તેમાં થોડું મધ નાખીને દિવસમાં બે-ત્રણ વાર પીવાથી શરદી-ખાંસીમાંથી છુટકારો મળે છે.
મરી: જો ખાંસી આવતી હોય તો એક ચમચી મધમાં થોડો મરીનો ભૂકો ભેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચાટવાથી ફાયદો થાય છે. મધ કફને ઓગાળે છે, કારણ કે તેમાં એિન્ટબાયોટિક તત્ત્વો છે, જે બેક્ટેરિયાનો સફાયો કરે છે, જ્યારે મરી રક્તપરિભ્રમણ સુધારે છે.
અળસી: ગળાનું ઇન્ફેક્શન દૂર કરવા માટે અળસી અકસીર છે. એક કપ પાણીમાં બે ચમચા અળસી નાખીને તે ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી તેને ઉકાળવું જોઇએ. ત્યારબાદ તેમાં થોડું મધ અને લીંબુનો રસ મેળવીને પીવાથી ગળાના ઇન્ફેક્શનમાં ફાયદો થાય છે.
લીલાં મરચાં: જો ખૂબ શરદી હોય તો ભોજનમાં લીલાં મરચાં સામેલ કરવાં જોઇએ. લીલાં મરચાં ખાવાથી જે પસીનો છૂટે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તેના કારણે શરદીમાં રાહત મળે છે.
મધ: સૂકી ખાંસી માટે મધ સારું ઔષધ સાબિત થાય છે. ચીકણું મધ ગળામાં ચચરાટી પેદા કરનાર મ્યૂકસ મેમ્બ્રેન પર ચોંટી જાય છે અને તરત આરામ પહોંચાડે છે. મધ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદરૂપ થાય છે.
અજમો: ઊકળતા પાણીમાં અજમો-તુલસીનાં પાન નાખી થોડી વાર મૂકી રાખી થોડું ઠંડું થાય ત્યારે આ પાણી નવશેકું જ પીવાથી શરદી-ખાંસીમાં રાહત થાય છે. અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે.
હળદર: ગળામાં બળતરા થતી હોય તો એક કપ નવશેકા પાણીમાં થોડું મીઠું અને હળદર નાખી દિવસમાં બે-ત્રણ વાર તેના કોગળા કરવાથી ફાયદો થાય છે.