મોઢામાં ચાંદા પડવા એક સામાન્ય સમસ્યા છે. પરંતુ એનો દુખાવો ફક્ત એ જ વ્યક્તિ સમજી શકે છે જેને ક્યારેક મોઢામાં ચાંદા પડ્યા હોય. ખાવા-પીવાનું મુશ્કેલ થઈ જાય છે.
બધા લોકો સલાહ આપવા લાગે છે પણ કોઈ એ નથી જણાવતું કે મોઢામાં ચાંદાથી તરત આરામ કેવી રીતે મળી શકે. જાણો આ સરળ ઘરેલૂ ઉપાય જેનાથી મોઢામાં પડેલા ચાંદાથી છૂટકારો મેળવી શકાય છે.
ફટકડી પણ છે અસરકારક:
ફટકડીનો ઉપયોગ કરી ચાંદાના દુખાવાથી તરત આરામ મેળવી શકાય છે. ફટકડીને હોઠની અંદર ચાંદા પડ્યાં હોય તે જગ્યાએ દિવસમાં બે વખત લગાવો. એક વાતનું ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે બળતરા થઈ શકે છે. એટલે લાળને સતત નીચે ટપકવા દો. ફટકડી મોઢાની ગંદકીની સાથે ચાંદાને પણ ખતમ કરી શકે છે.
બેકિંગ સોડાનો કરો ઉપયોગ:
મોઢામાં ચાંદાથી તરત રાહત મેળવવા માટે બેકિંગ સોડા બેસ્ટ ઓપ્શન છે. આ દુખાવો થતો હોય એ જગ્યાને શૂન્ય કરી દે છે જેથી તરત આરામ મળી જાય છે. બેકિંગ સોડાની પેસ્ટ બનાવી ચાંદા પડ્યાં હોય ત્યાં લગાવી દો. ઓછામાં ઓછી 5 મિનિટ સુધી સૂકાવા દો. પછી પાણીથી કોગળા કરી લો. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત આવું કરો.
તુલસીના પાન ખાઓ:
આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટ્ટી કહેવામાં આવે છે. કેમ કે તુલસીના છોડમાં એવા ઘણા ગુણ છે જે બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. તુલસીમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત 4-5 પાન તુલસીના ખાવાથી ચાંદા મટી શકે છે.
લસણ સાબિત થાય છે ફાયદાકારક:
લસણની કળીને પાણી સાથે વાટી તેમાં થોડું દેશી ઘી મિક્સ કરીને મલમ તૈયાર કરો. આ મલમ લગાવવાથી ચાંદા મટી શકે છે. જો તમને કાયમ મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ હોય તો રોજ લસણની બે કળીનો રસ કાઢી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો.
હળદરથી આરામ મળશે:
હળદરમાં એન્ટિ-સેપ્ટિક ગુણ જોવા મળે છે જેના કારણે તે ચાંદા મટાડવામાં ફાયદાકારક છે. હળદરને પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચાંદા પર લગાવો. 10 મિનિટ પછી પાણીના કોગળા કરી લો. તરત આરામ મળશે. પેસ્ટ માટે તાજી હળદરની ગાંઠનો ઉપયોગ કરશો તો વધુ ફાયદાકારક રહેશે.