સ્વદેશી અભિયાન મામલે હવે ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય અર્ધસૈનિક દળની કેન્ટિનમાંથી વિદેશી પ્રોડક્ટ હટાવી દેવાઈ છે. કેન્ટીનમાંથી 1026 જેટલી વિદેશી પ્રોડક્ટને દૂર કરવામાં આવી છે, એટલે કે હવે કેન્ટિનમાં સ્વદેશી ચીજવસ્તુઓ મળશે.
કેન્દ્રીય અર્ધસૈનિક દળની કેન્ટિનમાંથી વિદેશી પ્રોડક્ટ હટાવી દેવાઈ છે
કેન્ટીનમાંથી 1026 જેટલી વિદેશી પ્રોડક્ટને દૂર કરવામાં આવી છે
ગૃહ મંત્રાલયે કેન્ટિનમાં સ્વદેશી પ્રોડક્ટ વેચવાની વાત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવાયો છે. કેન્ટિનમાં ઉત્પાદકો માટે હવે 3 તબક્કા બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં સંપૂર્ણ ભારતીય ઉત્પાદનનું વેચાણ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં રો-મટિરીયલ વિદેશી હશે અને ઉત્પાદન ભારતમાં થશે. જ્યારે ત્રીજા તબક્કામાં શુદ્ધ આયાત કરેલા ઉત્પાદનો હશે.
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વદેશી એટલે કે લોકલ વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મુક્યો હતો. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર (KPKB) એ તમામ પેરામિલિટ્રી કેન્ટીનથી વિદેશી પ્રોડક્ટ હટાવી લીધી છે. હવે કેન્ટીનમાં માત્ર સ્વદેશ નિર્મિત વસ્તુઓનું જ વેચાણ થશે. માઇક્રોવેવ ઓવનથી લઇને ફૂટવિયર અને બ્રાન્ડેડ વસ્તુઓ જેમકે, ટૉમી હિલફિગર શર્ટ વગેરે જેવી 1000થી વધારે પ્રોડક્ટ હવે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાં ઉપલબ્ધ નથી થાય. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે લીધો છે.
સરકારના આ નિર્ણયથી લગભગ 10 લાખ સીઆરપીએફ, બીએસએફ, આઇટીબીપી, સીઆઇએસએફ, એસએસબી, એનએસજી અને આસામ રાઇફલ્સના જવાનોના પરિવારના 50 લાખ સભ્યો સ્વદેશ નિર્મિત ઉત્પાદનોનો ઉપયોગ કરશે. કેન્ટીનથી સ્કેચર્સ, ફેરેરો, રેડ બુલ, વિક્ટોરિનોક્સ, સફિલો (પોલેરોઇડ, કેરેરા) સહિત વસ્તુઓનું આયાત કરનારી સાત કંપનીઓને પણ ડી-લિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત કેપીકેબીએ એ કંપનીઓના ઘણા ઉત્પાદનોને પણ બંધ કરી દીધા છે, જેમણે તેઓ દ્વારા માંગવામાં આવેલી જાણકારી આપી નહોતી.