આગામી પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં થનારી પરેડ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોના સાત હજારથી પણ વધુ જવાનો તહેનાત કરવામાં આવશે. સીઆરપીએફના એડિશનલ ડીજી અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી ઝુલ્ફીકાર હસને જણાવ્યું કે, ''ગૃહ મંત્રાલયે રાજધાની દિલ્હી પર આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત સાત હજારથી વધુ જવાનો ગણતંત્ર દિનની પરેડ દરમિયાન તહેનાત કરાશે.''
આ અંતર્ગત કલમ-370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તહેનાત કરવામાં આવેલા કેન્દ્રિય સુરક્ષાદળોને હવે પરત બોલાવવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં સેન્ટ્રલ પોલીસ ફોર્સની 72 કંપનીઓને તાત્કાલિક અસરથી હટાવવામાં આવશે. ગઈ કાલે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓને પરત બોલાવાઈ
આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, આ અર્ધલશ્કરી દળોને ફરીથી એ જ જગ્યાઓ પર તહેનાત કરવામાં આવશે, જ્યાંથી તેમને હટાવીને જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પણ જમ્મુ-કાશ્મીરમાંથી અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓને પરત બોલાવાઈ હતી.
ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 24 કંપની, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ની 12, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની 12, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની 12 અને સશસ્ત્ર સીમા બલ (એસએસબી)ની 12 કંપનીઓને નવા નવા ઘોષિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવશે.
દરેક કંપનીમાં લગભગ 100 જવાનો
ઉલ્લેખનીય છે કે, દરેક કંપનીમાં લગભગ 100 જવાનો હોય છે. એટલે કે હવે સાત હજારથી વધુ અર્ધલશ્કરી દળો જમ્મુ-કાશ્મીર છોડશે. ગઈ કાલે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના વિકાસની બાબતો અને સુરક્ષાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જી.સી.મુર્મુ, કેન્દ્રશાસિત પ્રદેશ પર ગૃહમંત્રાલયમાં વરિષ્ઠ સુરક્ષા સલાહકાર કે. વિજય કુમાર, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, સીઆરપીએફના ડીજી આર.આર. ભટનાગર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.