ગૃહ મંત્રાલયે વિદેશી મીડિયામાં ચાલી રહેલા સમાચાર ફગાવ્યા, જેમા કહેવામાં આવ્યું છે કે શ્રીનગરમાં અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ એક મોટુ પ્રદર્શન કરવામાં આવ્યું. રિપોર્ટ બહાર આવી છે કે આ પ્રદર્શનમાં 10 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આવા સમાચાર પાયાવિહોણા છે.
ગૃહ મંત્રાલય અનુસાર કેટલાક નાના-મોટા પ્રદર્શન થયા છે. ગૃહ મંત્રાલયે ટ્વિટ કરતા કહ્યું, 'કેટલીક મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે શ્રીનગરમાં એક વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકો સામેલ થયા છે, આ પૂર્ણ રીતે ઉપજાવી કાઢવામાં આવેલ અને ખોટું છે. શ્રીનગર અને બારામૂલામાં કેટલાક પ્રદર્શન થયા છે પરંતુ તેમાથી કોઇપણ પ્રદર્શનમાં 20થી વધારે લોકો સામેલ નથી.'
આ પહેલા આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સે એક રિપોર્ટમાં કહ્યું હતું કે શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકો સામેલ હતા. રોયટર્સે આ રિપોર્ટ એક પોલીસ અધિકારી અને બે સાક્ષીઓના હવાલે આપ્યો હતો.
આ રિપોર્ટ મુજબ શ્રીનગરના કે સૌરા વિસ્તારમાં આર્ટિકલ 144નું ઉલ્લંઘન કરી લોકો ભેગા થયા હતા. રોયટર્સે દાવો કર્યો હતો કે આ ભીડને આઇવા બ્રિજ પાસે પાછળ ધકેલી દેવામાં આવી હતી. પોલીસે ભીડ પર ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અધિકારીનું કહેવું હતું કે આ વિરોધ પ્રદર્શનમાં લગભગ 10 હજાર લોકો હતા અને આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન હતું.
શુક્રવારે વહીવટીય તંત્રે શ્રીનગરમાં રાહત આપી હતી જેથી લોકો જુમ્માની નમાજ અદા કરી શકે અને બકરી ઇદ માટે ખરીદી કરી શકે. આ દરમિયાન કેટલાક લોકો જમા થયા હતા. જોકે, તંત્રે તાત્કાલિક પગલા ઉઠાવાયા હતા.