કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભારતના પૂર્વોત્તર રાજ્ય, નાગાલેન્ડને એક અશાંત વિસ્તાર તરીકે ઘોષણા કરી છે. આ સંદર્ભે મંત્રાલયે બુધવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ સૂચના મુજબ, મંત્રાલયે સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ (AFSPA) હેઠળ આવતા 6 મહિનાના સમયગાળા માટે રાજ્યને 'અશાંત વિસ્તાર' જાહેર કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે રાજ્યની સરહદમાં આવતો વિસ્તાર હાલ અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે. આને લીધે, અહીં સ્થાનિક સરકારને મદદ કરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવો જરૂરી છે.
સુરક્ષાના ધોરણે સ્થાનિક વહીવટને મદદ કરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવો જરૂરી છે: હોમ ડિપાર્ટમેન્ટનું નોટિફિકેશન
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં લખ્યું છે કે, "કેન્દ્ર સરકારનો અભિપ્રાય છે કે સમગ્ર નાગાલેન્ડ રાજ્યની સરહદની અંદરનો વિસ્તાર એવી અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે કે ત્યાં સ્થાનિક વહીવટને મદદ કરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવો જરૂરી છે." જાહેરનામામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, હવે સશસ્ત્ર દળો વિશેષ અધિકાર અધિનિયમ, 1958ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર નાગાલેન્ડ રાજ્યને 30 ડિસેમ્બરથી 6 મે સુધીના મહિનાઓના સમયગાળા માટે 'અશાંત વિસ્તાર' જાહેર કરે છે.
6 મહિના પહેલા પણ નાગાલેન્ડને અશાંત ક્ષેત્ર જાહેર કરાયું હતું
નોંધનીય વાત એ છે કે આ વર્ષે 1 જુલાઈએ પણ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યને એક અશાંત ક્ષેત્ર જાહેર કર્યું હતું. તે સમયે જારી કરાયેલા જાહેરનામા મુજબ તે સમયગાળો પણ 6 મહિનાનો હતો. ત્યારે સરકારે કહ્યું હતું કે સમગ્ર નાગાલેન્ડ રાજ્યની સ્થિતિ પરેશાન કરનારી અને ખતરનાક છે.
અશાંત ક્ષેત્રની ઘોષણાનો અર્થ શું છે?
કોઈ પણ ક્ષેત્રને અશાંત ઘોષિત કરવામાં આવતા તે રાજ્યમાં શાંત જાળવી રાખવાની જવાબદારી સશસ્ત્ર દળોની બની જાય છે. તેઓને AFSPA અંતર્ગત અશાંત ક્ષેત્રોમાં વિશેષાધિકાર મળે છે.