અમદાવાદઃ ગુજરાતમાં થઈ રહેલા બિનગુજરાતીઓ પર હુમલાના કારણે તેઓ હિજરત કરી રહ્યા છે. જેને લઇને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે આ મામલે અત્યાર સુધી 57 કેસો નોંધવામાં આવ્યા છે. રાજ્યભરમાં અત્યાર સુધી 21થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક રાજકીય તત્વો અશાંતિ ફેલાવી રહ્યા છે. તંત્ર દ્વારા રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસના બંદોબસ્ત બાદ છેલ્લા 48 કલાકમાં કોઈ ગુના નોંધાયા નથી. સાથે જ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પણ નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ગાંધીનગરના કોંગ્રેસના આગેવાન સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આઈ.ટી.એક્ટ હેઠળ અત્યાર સુધીમાં 3 ગુનાઓ પણ નોંધાવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે. રાજ્યમાં હાલ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 48 કલાકમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. હાલ રાજ્યમાં શાંતિનો માહોલ છે.