કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાઈકોર્ટના અવલોકનો અંગે દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટે લીધેલા અસરકારક પગલાંઓની સરાહના થઇ રહી છે ત્યારે હવે સરકારને બદનામ કરવાના વિપક્ષના ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે તેવો તેમણે આક્ષેપ મુક્યો હતો.
કોર્ટની જાહેર હિતની અરજીનો ઉદ્દેશ રાજ્ય સરકારની કામગીરીની વધુ સુધારણા માટેનો છે. રાજ્ય સરકારે સંતોષજનક કામગીરી કરી છે: સરકારનો દાવો
કોરોનાની મહામારીએ હેલ્થ ક્રાઈસિસ છે પોલિટિકલ ક્રાઈસિસ નથી, સૌ સાથે મળીને તેનો સામનો કરીએ: ગુજરાત સરકાર
મહામારીના સમયમાં લોકોને પોતાના સ્વસ્થ્યની ચિંતા છે ત્યારે તેમને મદદરૂપ થવાને બદલે કોઈ રાજકીય મુદ્દો ન બનાવીએ: ગુજરાત સરકાર
તેમણે હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાએ કરેલ અવલોકન અને ટિપ્પણીઓની વિગત વાર ભૂમિકા આપતા જણાવ્યું કે, કોવિડ-19ને લગતી PILમાં પ્રથમવાર જાહેર હિતની અરજીના અવકાશને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ખાસ કરીને કોર્ટના આદેશોના આધારે કોવિડ-19 મામલે થઈ રહેલા રાજકારણના સંદર્ભમાં ખૂબ સખત વલણ અપનાવ્યું છે. અદાલતે દરેક બાબતોનું ખૂબ જ કાળજી પૂર્વક અવલોકન પણ કર્યું છે.
હાઇકોર્ટે કહ્યું - PIL રાજકીય માઇલેજ મેળવવા માટે નથી
આ અંગે હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમે ઓર્ડર ક્લોઝ કરીએ તે પહેલા, હાલ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલી રહેલી બિનજરૂરી અને નાહકની ચર્ચાઓ તેમજ ટિપ્પણીઓ માટે અમે અમારી વેદના વ્યક્ત કરવા માગીએ છીએ. અમને જાણવા મળ્યું છે કે વખતોવખત જનહિત માટે આપવામાં આવેલા અમારા આદેશોનો કેટલાક આડા હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. અમારા અભિપ્રાય મુજબ, જાહેરહિતની અરજી (PIL–પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) એ લોકો માટે છે જેઓ એકલવાયા અને નિરાધાર છે. તેમજ એ લોકોના ફાયદા માટે છે જેઓ પોતાના સામાજિક પછાતપણાને કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. અમે એમ પણ કહેવા માગીએ છીએ કે આ જાહેરહિતની અરજીઓ કોઈ રાજકીય લાભ કે રાજકીય માઇલેજ મેળવવા માટે પણ નથી. જાહેર હિતની અરજીઓને ક્યારેય પણ રાજકીય લડાઇનું સાધન બનાવવું જોઇએ નહીં.’
પ્રદીપસિંહે એમ પણ દાવો કર્યો હતો કે અદાલતે એમ સ્પષ્ટ પણે નોંધ્યું છે કે, રાજ્ય સરકારે જાહેર હિતમાં આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે. હવે જેની જરૂર છે તે અવેરનેસ, સાવચેતી અને સક્રિય રહેવાની છે. હાઈકોર્ટે સોશીયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી બિનજરૂરી ચર્ચાઓ અને ટિપ્પણીઓ પર વ્યથા વ્યક્ત કરી છે. કેમ કે સમય-સમય પર લોકોના વ્યાપક હિત માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમુક રાજકીય વિરોધ ના હેતુ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
PIL રાજકીય લાભ મેળવવા માટે નથી: પ્રદીપસિંહ
પ્રદીપસિંહે એમ પણ કહ્યું હતું કે PIL રાજકીય લાભ મેળવવા માટે નથી. જાહેર હિતની અરજી કરીને ક્યારેય રાજકીય લડાઇ ન લડવી જોઈએ. આથી, કોઈપણ આ મુદ્દે રાજકારણ ન કરે તે જરૂરી છે. સરકારની માત્ર ટીકા કરવાથી કોવિડ-19ના લોકોનો કોઇ જાદુઈ ઇલાજ નહીં થાય અને મૃત્યુ પામેલ લોકો જીવંત નહીં બની શકે. જાહેર હિતમાં સમયાંતરે પસાર થતા કોર્ટના આદેશ સંદર્ભે કોઈપણ ટિપ્પણી કરવા અથવા કોઈપણ ચર્ચામાં પ્રવેશતા પહેલા હવેથી કોર્ટે વિપક્ષ સહિત બધાને ખૂબ કાળજી રાખવાની વિનંતી કરી છે.
આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી: હાઈકોર્ટ
આ કટોકટીભરી પરિસ્થિતિમાં આપણે એકબીજાનો સાથ આપવો જોઇએ, એકબીજા સાથે ઝઘડવું ન જોઇએ. કોવિડ-19ની આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી. પરિણામે, આ મુદ્દે કોઈપણ વ્યક્તિ રાજકારણ ન કરે તે જ સૌથી વધુ હિતાવહ છે. કોવિડ-19 સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ અને અર્થતંત્ર પરની તેની ગંભીર અસરોને જોતાં સરકાર તેની નીતિઓમાં યોગ્ય સુધાર કરે એ અતિશય મહત્વપૂર્ણ છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિપક્ષનું કામ સરકારના દરેક કાર્ય પર નજર રાખીને તેમને ટકોરવાનું છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં, ટીકાત્મક રીતે બોલવા કરતા સરકારને સહયોગ કરવો વધારે ફાયદાકારક રહેશે.
સરકારની ખામીઓ શોધીશોધીને તેને હાઇલાઇટ કર્યા કરવાથી લોકોના મનમાં ડર પેદા થાય છે: સરકારનો દાવો
વિરોધીઓને ખોટી ટીકાઓ પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી કરી શકવાની, પરંતુ રચનાત્મક ટીકાઓ ચોક્કસપણ મદદ કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા મહામારીની આ પરિસ્થિતિને સંભાળવાની પદ્ધતિઓમાં ફક્ત ત્રુટિઓ અને ખામીઓ શોધીશોધીને તેને હાઇલાઇટ કર્યા કરવાથી લોકોના મનમાં ડર પેદા થાય છે તેવો સરકારનો દાવો છે. જ્યારે લોકોના જીવનું જોખમ રહેલું હોય એવી પરિસ્થિતિમાં લોકોને રાજકીય વિચારધારાઓ અને રાજકીય દુશ્મનાવટની બહુ પડી નથી હોતી. આ મહામારી તમામ માટે જોખમરૂપ છે અને ડરામણી છે અને આ પરિસ્થિતિમાં લોકો સરકાર અને વિપક્ષ વચ્ચે સહયોગ જોવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે આ પરિસ્થિતિમાં તેમના નેતાઓ એકસાથે થાય અને સાથે મળીને તેનો સામનો કરે. અત્યાર સુધીમાં મોટાભાગના લોકશાહી દેશો કે જે આ મહામારીનો સામનો કરવામાં સફળ રહ્યા છે, તે બધામાં એક વાત સર્વસામાન્ય છે અને તે છે ત્યાંના તમામ રાજકીય પક્ષો વચ્ચે સહકારની ભાવના.