કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના જ મંત્રીથી થયા નારાજ, મંચ પરથી જ કહ્યું માફ કરો પણ આવું નહીં ચાલે.
હરિયાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થયા નારાજ
અનિલ વિજના લાંબા ભાષણના કારણે નારાજગી
વારંવાર ટકોર છતાં રોકાયા નહીં અનિલ વિજ
ગૃહમંત્રી અમિત શાહ થયા નારાજ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના દિગ્ગજ મંત્રીને શિસ્તનો પાઠ ભણાવ્યો હોય તેવો કિસ્સો હરિયાણાથી સામે આવ્યો છે. 27મી ઓકટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણા પ્રવાસ પર હતા જેમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો, આ સિવાય સૂરજકુંડમાં ભાજપની બે દિવસની ચિંતન શિબિરની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન હરિયાણા ગૃહમંત્રી અનિલ વીજના લાંબા ભાષણના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ થયા હતા.
શું છે સમગ્ર મામલો
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આ રીતે ટોકવાને લઈને હરિયાણામાં અનિલ વીજને લઈને ખૂબ ચર્ચા છે. નોંધનીય છે કે અમિત શાહ મંચ પર પહોંચ્યા બાદ ભાષણ આપવાનો સિલસિલો શરૂ થયો હતો જેમાં હરિયાણા ગૃહમંત્રી અનિલ વિજે બોલવાનું ચાલુ કર્યું તો આઠ મિનિટથી પણ વધુ સમય લગાવી દીધો. તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન જ અમિત શાહે તેમને વારંવાર ટકોર કરી કે ભાષણ આટોપી લેવામાં આવે તેમ છતાં અનિલ વીજ રોકાયા નહીં, નોંધનીય છે કે આવું એક વાર નહીં ચાર ચાર વખત થયું, તેમ છતાં અનિલ વીજ બોલતા રહ્યા.
અમિત શાહે કહેવું પડ્યું, આવું નહીં ચાલે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અનિલ વીજ બાજુ બાજુમાં જ બેઠા હતા, અમિત શાહે પહેલા એક ચિઠ્ઠીના માધ્યમથી કહ્યું કે ભાષણ ખતમ કરો, અસર ન થઈ તો અમિત શાહે પોતાનું માઇક ચાલુ કર્યું અને આંગળીથી અવાજ કર્યો. આટલું થયા છતાં પણ અનિલ વીજ રોકાયા નહીં ત્યારે અમિત શાહે કહ્યું કે ભાષણ જલ્દી ખતમ કરો, તે બાદ અનિલ વિજે કહ્યું કે હજુ એક પોઈન્ટ બાકી છે. જે બાદ અમિત શાહ નારાજ થઈ ગયા અને કહ્યું કે અનિલજી, માફ કરો પણ આવું નહીં ચાલે.
નોંધનીય છે કે ભાજપની આ ચિંતન શિબિરમાં કુલ નવ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લઈ રહ્યા છે જેમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.