ખંભાળિયામાં જનસભાના સંબોધન વેળાએ ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષ પર વરસ્યા હતા. જેમાં કોંગ્રેસ હંમેશા વિકાસમાં બાધારુપ બની હોવાનું ઉમેર્યું હતું.
દ્વારકાના ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ અને AAP પર સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતાઓ નર્મદા ડેમ માટે અડચણરૂપ રહ્યા: અમિત શાહ
મેધા પાટકરના કારણે ગુજરાતને નર્મદાનું પાણી 20 વર્ષ મોડું મળ્યું : શાહ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તમામ મોરચે લડી લેવા મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય નેતાઓના ગુજરાત આવાગમનમાં વધારો થયો છે. બીજી બાજુ ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સીટ હાંસલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના લોકપ્રિય નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. જેને લઇને આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારાકા જિલ્લાના ખંભાળિયાની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના સમર્થનમાં જંગી જનસભાનું સંબોધન કર્યું હતું.
ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા
શક્તિનાગર ગ્રામ પંચાયતમાં આવેલ શિરેશ્વર મહાદેવ મંદિરના આંગણે જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું હતું. વિપક્ષને આડે હાથ લેતા અમિત શાહએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ નર્મદા ડેમ માટે અડચણરૂપ બની 1963થી 2003 સુધી નર્મદા ડેમ બાંધવા ન દીધો. જેમાં મેધા પાટકરના કારણે ગુજરાતને નર્મદાનું પાણી 20 વર્ષ મોડું મળ્યું હોવાનું પણ અમિત શાહે ઉમેર્યું હતું. છતાં AAPએ મેધા પાટકરને લોકસભામાં ઉમેદવાર બનાવ્યા. વધુમાં AAPએ ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ તેવું કહી ગુજરાતની જનતા AAPને ક્યારેય નહીં સ્વીકારે તેમ ઉમેર્યું હતું. વધુમાં મજાકના મૂડમાં અમિત શાહે જણાવ્યું હતું કે રોડ પર કોંગ્રેસના કામ બોલે છે.તેવા હોર્ડિંગસ લગાવાયા છે તો 32 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી તો કામ કેવી રીતે કર્યું?
બેટ દ્વારકામાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયા : અમિત શાહ
રામ મંદિર મુદ્દે કોંગ્રેસ હંમેશા ટોણા મારતું રહ્યું છે તો હવે 1 જાન્યુઆરી 2024ની અયોધ્યાની ટિકિટ કરાવી દો ગગનચુંબી રામ મંદિર જોવા મળશે. વધુમાં બેટ દ્વારકામાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયા તે મામલે પણ નિવેદન આપ્યું હતું. વધુમાં આ ચુંટણી તમારો એક મત ગુજરાત અને યુવાનોનું ભાવિ નક્કી કરશે જેથી વિચારી મતદાન કરવા ઉમેર્યું હતું.