આતંકવાદીઓ અને અલગતાવાદીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓની સતત કડક કાર્યવાહીને કારણે ગભરાયેલી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ હવે ભારત સામે નવું ષડ્યંત્ર રચવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને કાશ્મીરના કેટલાક અલગતાવાદી નેતાઓની મદદથી ગુપ્તરાહે એક નવું અલગતાવાદી જૂથ બનાવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયના ઉચ્ચસ્તરીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અલગતાવાદીઓનાં આ નવાં જૂથમાં લશ્કર-એ-તોઈબાના ખતરનાક આતંકીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આઈએસઆઈની મદદથી બનાવવામાં આવેલા કટ્ટરવાદીઓનાં આ જૂથને કાશ્મીર ઉપરાંત જમ્મુમાં ભારતીય સેના અને સુરક્ષાદળો વિરુદ્ધ ઉગ્ર હિંસક પ્રદર્શનો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નવા અલગતાવાદી જૂથના પ્રેસિડેન્ટ ઈરશાદ અહમદ મલિકને બનાવવામાં આવ્યો છે, જે ભૂતકાળમાં લશ્કર-એ-તોઈબાનો આતંકી રહી ચૂક્યો છે. અમિત શાહના ગૃહપ્રધાન બન્યા બાદથી જ કેન્દ્ર સરકારે આતંક અને અલગતાવાદીઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી સતત જારી રાખવાનો નિર્ણય કર્યો છે.
એનઆઈએ, ઈન્કમટેક્સ અને ઈડીના અધિકારીઓ કાશ્મીરમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ટેરર ફંડિગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. જેના કારણે આતંકીઓમાં ડર ફેલાયો છે. એનઆઈએએ અનેક મોટા અલગતાવાદી નેતાઓને જેલભેગા કરી દીધા છે અને તેનાથી કાશ્મીરમાં આતંકની કમર તૂટી ગઈ છે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશન પહેલાં પણ અલગતાવાદી અને કટ્ટરપંથી નેતાઓની મદદ કરતું આવ્યું છે. પાકિસ્તાનથી આવતું ટેરર ફંડિંગ આતંકીઓ અને અલગતાવાદીઓ સુધી જાય છે, પરંતુ એનઆઈએની તપાસ અને કાર્યવાહી બાદ આ ટેરર ફંડિંગ પણ ઘણું ઘટી ગયું છે. હવે એજન્સીઓ એ વાતની તપાસ કરી રહી છે કે, જમ્મુમાં બનેલા આ અલગતાવાદી જૂથને ફંડિંગ કોણ કરે છે અને તેનો સોર્સ ક્યો છે.
ગુપ્તચર એજન્સીઓએ થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં રમજાન દરમિયાન અલગાતાવાદી જૂથોને ફંડિંગ પૂરું પાડવા માટે હવે જકાતનો સહારો લેવામાં આવી રહ્યો છે. નેપાળના રસ્તેથી પણ આતંકીઓ માટે મોટા પ્રમાણમાં પૈસા આવી રહ્યા છે અને પાકિસ્તાન કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે નવી યોજનાઓ બનાવી રહ્યું છે.