અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમના હસ્તે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો પ્રારંભ કરાયો છે.
ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રમુખ નગરની મુલાકાતે
આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન
ગઈકાલે PM મોદી અને મહંતસ્વામીના હસ્તે કરાયું હતું ઉદ્ધાટન
એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અમિત શાહના હસ્તે આજે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો પ્રારંભ કરાયો છે. તમને જણાવી દઇએ કે, 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ લાખો મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે.
પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે
1 મહિના સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભાવો મુલાકાત લેશે. આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વાર ખુલી ગયા છે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. શતાબ્દી મહોત્સવમાં વિશ્વના ખુણે ખુણેથી હરિભક્તો પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા માટે સેવા આપવા પ્રમુખસ્વામી નગર પહોંચ્યા છે. કોઇ હરિભક્ત USથી આવ્યું છે તો કોઇ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી પણ અહીં પહોંચ્યા છે.
ગતરોજ પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું કરાયું હતું ઉદ્ધાટન
ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન વેળાએ પીએમ નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન અને મહંતસ્વામીના હસ્તે ઉદ્ઘાટન
મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ થોડા અંતર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
ભારતી સંસ્કૃતિની રંગારંગ ઝાંખી
શતાબ્દી મહોત્સવ નગરીમાં સહેલાઈ થી પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુંમટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. આજથી શરૂ થનાર આસ્થાનો મહાઉત્સવ આગામી એક મહિના સુધી ચાલનાર છે. જેમાં કરોડો શ્રદ્ધાળુઓ સામેલ થઈને ધન્યતા અનુભવશે.
સંતદ્વાર આકર્ષણનું કેન્દ્ર
દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.
ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે.
ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે
- એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.
- આજે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે.
- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
- 18-19 ડિસમ્બરે મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે.
- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બરે સેવા દિન
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
- 11 જાન્યુઆરીએ BAPS એશિયા પેસિફિક દિવ
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
- 14 જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ