સામાન્ય રીતે હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો અને સાંજે હોળિકાની પ્રદક્ષિણા કરીને પછી ધાણી-ચણા કે ખજૂર ખાવાની પ્રથા જૂના જમાનામાં હતી. હવે આ પ્રથાઓ બદલાઇ ગઇ છે. હિન્દુ ધર્મના દરેક ઉત્સવ અને એ ઉત્સવ સાથે જોડાયેલી ખાણીપીણી અને આહારવિહારની પરંપરાઓ તૈયાર કરવા પાછળ ઋષિમુનિઓનો બહુ મોટો હાથ હતો. આ પરંપરાઓ દરેક બદલાતી સીઝનમાં શરીર-મનની જરૂરિયાતોને પૂરી કરવા અને આવનારા સમય માટે સક્ષમ બનાવવા માટે હતી. ઉપવાસ કરીને ઘાણી, ખજુર અને ચણા આ ત્રણ ચીજો ખાવાની પરંપરા પૌરાણિક સમયથી પડી છે અને એની પાછળનું કારણ આપણને ઋતુસંધિના વિજ્ઞાન તરફ દોરી જાય છે.
ઠંડીથી ગરમી તરફ જવાના કારણે થયેલા કફને પીગળાવા ખાવાં જોઇએ
વાયરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોથી બચવા ખાવાં જોઇએ
વિષાણુઓ શરીર પર સરળતાથી અટૅક ન કરી શકે તે માટે ખાવાં જોઇએ
આ રહ્યા ઢગલાબંધ ફાયદા
સામાન્ય રીતે મોટા તહેવારો બે ઋતુઓની સંધિમાં આવતા હોય છે. હોળીનો સમય છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો. શિશિર ઋતુ પૂરી થઈ ચૂકી છે અને ગ્રીષ્મ આવે એ પહેલાં વસંત ઋતુનો સમય આવશે. આ વસંત ઋતુ છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો સમય. આ સમયે સવારે ગુલાબી ઠંડી પડે, બપોરે આકરો તાપ હોય અને સાંજે ફરીથી ઠંડક છવાય.
હોળી પહેલાંના દસેક દિવસ અને હોળી પછીના દસેક દિવસનો ગાળો એવો છે જેમાં કફ પીગળવાને કારણે કફજન્ય રોગો થવાની સંભાવના વધે છે. અધૂરામાં પૂરું શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે. એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી, ચણા-ખજૂર ખાવાં જોઇએ, જેથી કફ શોષાઈ જાય. ધાણી અને ચણા એ રુક્ષ છે એને કારણે કફ છૂટો પડે છે.
શિયાળામાં મજાની વાનગીઓ ખાધી હોય એટલે શરીરમાં કફનો સંચય થાય છે. ગરમી પડતાં એ સંચિત કફ પીગળે. એટલે જ આ સીઝનમાં શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. જ્યારે શરીરમાં વાયુ અને રસ બન્નેમાં ગરબડ થાય એટલે વિષાણુઓ શરીર પર સરળતાથી અટૅક કરી શકે છે. એટલે જ રુક્ષ ખોરાક દ્વારા સંચિત કફને કાઢવો બહુ જ જરૂરી છે.
કઈ રુક્ષ ચીજો લેવી?
કોઈ પણ ધાન્યને જ્યારે શેકી લેવામાં આવે ત્યારે એ પચવામાં હલકું થઈ જાય છે. જુવાર અને મકાઈ જેવાં ધાન્યોને શેકવાથી એ ફૂટીને એમાંથી ધાણી બની જાય છે. આ અગ્નિના તાપમાં ફૂટેલું આ ધાન્ય પચવામાં લઘુ, સરળ અને રુક્ષ થઈ જાય છે. જુવારની ધાણી ઉત્તમ કહેવાય. મકાઈની ધાણી મોટા ભાગે રાજસ્થાનમાં વધુ ખવાય છે. જુવાર વધુ પોષ્ટિક છે. શરીરનો કચરો કાઢવા તેમ જ કફના શોષાવા માટે જુવારની ધાણી-દાળિયાની જરૂર પડે. ઉપવાસ પછી ધાણી ખાવાથી કફ છૂટે. કાચી ધાણી ન ભાવે તો તેલમાં હળદર, મીઠું અને કાળાં મરી નાખીને વઘારી લેવાથી એ રુચિકર અને વધુ ગુણકારી થઈ જશે. હળદર ઍન્ટિ-વાઇરલ છે એટલે રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે અને કાળાં મરી ધાણીને સુપાચ્ય બનાવે છે. કફ છૂટો પડે એટલે શરીરને કમજોરી લાગવા લાગે. એ કમજોરીની પૂર્તિ માટે સુપાચ્ય પ્રોટીન તરીકે દાળિયા લેવાના હોય. રુક્ષતા શરીરમાં વધી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. એટલે સાથે ખજૂરની પેશી રસતૃપ્તિનું કામ કરે. એક પેશીમાં એક ગ્લાસ પાણી જેટલો રસ મળે. એમાં નૅચરલ ફ્રુક્ટોઝ હોય છે જેને કારણે શરીરના કોષોને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.